ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2022માં 'રોજગાર મેળા'ની શરૂઆત કરી- એક મહત્વાકાંક્ષી ભરતી પહેલ જેનો હેતુ દેશભરના 10 લાખથી વધુ પાત્ર યુવાનોને તબક્કાવાર કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં રોજગારની તકો પૂરી પાડવાનો છે.
આ વિઝનને આગળ ધપાવીને, જોબ ફેરની 15મી આવૃત્તિનું સમગ્ર ભારતમાં 47 સ્થળોએ એક સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 51 હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સેવા માટે નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા સુરત શહેરના સરસાણા કન્વેન્શન ખાતે આયોજીત 15મો રોજગાર મેળો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યા હતા. સુરતમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નવા ભરતી થયેલા 187 ઉમેદવારોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે 'રોજગાર મેળો' આપણા યુવાનોને નવી ઉર્જા સાથે સરકારી નોકરીઓમાં જોડાવા માટે તક પૂરી પાડે છે, જે આપણા દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, 15મો જોબ ફેર એ યુવાનોને સશક્ત બનાવવા અને દેશના કાર્યબળને મજબૂત કરવા માટેનો બીજો સીમાચિહ્નરૂપ બનશે.
આ મેળામાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા, મેયર શ્રી દક્ષેશ માવાણી, સાંસદ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ, ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદી તથા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.