ભારત સરકારની વેબસાઈટ www.cara.wcd.in પર દત્તક લેવા ઈચ્છુક પરિવારો સમગ્ર ભારતમાં બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવી શકે
સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થા એક અનાથ બાળકી માટે સલામતી અને હૂંફનું નવું ઘર બની છે. સંસ્થા દ્વારા ૬ માસની એક બાળકીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ચેન્નઈના એક દંપતીને દત્તક આપવામાં આવી છે.
બાળકના પુનઃસ્થાપન માટે સતત કાર્યરત ગુજરાત સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોના ભાગરૂપે આ સફળતા મળી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રિત આ બાળકીને એક પ્રેમાળ પરિવાર મળ્યો છે.
બાળકની પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર સંબંધિત તમામ નિયમો અને પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલના હસ્તે આ બાળકીને ચેન્નઈના શ્રીમતી જયાપ્રિયા અને શ્રી શરથકુમારને કલેકટર કચેરી ખાતે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ મુજબ દત્તકવિધાન સાથે સોંપવામાં આવી હતી.
જ્યારે કલેકટરશ્રીએ બાળકીને તેના નવા માતા-પિતાના હાથમાં સોંપી, ત્યારે એક લાગણીસભર દ્રશ્ય સર્જાયું હતું. બાળકીના નવા વાલીઓ અત્યંત ભાવુક બન્યા હતા અને તેમને એવો અનુભવ થયો હતો કે જાણે તેમનો પરિવાર આજે સંપૂર્ણ થયો હોય. બાળકીને માતા-પિતાનો પ્રેમ મળતા સમગ્ર વાતાવરણમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ જિલ્લા કક્ષાએ દત્તક સંબંધિત કેસો ચલાવવાની સત્તા જિલ્લા મેજીસ્ટ્રેટને આપવામાં આવી છે. ભારત સરકારની વેબસાઈટ www.cara.wcd.in પર દત્તક લેવા ઈચ્છુક પરિવારો સમગ્ર ભારતમાં બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવી શકે છે.
આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અજય મોટકા, સુરક્ષા અધિકારી શ્રી રોહિત ઘરસેડા અને સંસ્થાના મેનેજર શ્રી રંજનબેન ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરની આ સંસ્થા દ્વારા એક નાનકડી બાળકીને મળેલું આ નવું ઘર અન્ય અનાથ બાળકો માટે પણ આશાનું કિરણ સાબિત થશે.