સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢ તાલુકાનાં અમરાપુર, નવાગામ, વરમાધાર, વિજળીયા, મનડાસર, અભેપર, સારસાણા એમ સાત ગામની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી. થાનગઢ તાલુકાની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ દરેક ગામમાં રૂબરૂ જઈ લોકોનાં પીવાના પાણીનાં પ્રશ્નો, સમસ્યાઓ, કારણો સંવેદનાપૂર્વક સાંભળી તમામ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે હૈયાધારણા આપી હતી.
આ તકે મંત્રીશ્રીએ ગ્રામજનો પાસેથી પીવાનાં પાણીનાં પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી સંબધિત અધિકારીઓને સત્વરે યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી. આ બેઠકમાં જુદાંજુદાં ગામના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનધિઓ, આગેવાનશ્રીઓ, પાણી પુરવઠા વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.