આશરે ૧૬૦ વર્ષ થી ચોટીલાના ડુંગર પર મહંત શ્રી ગુલાબગિરિજીના પરિજનો સેવાપૂજા કરે છે: દરવર્ષે ફાગણ સુદ પૂનમ ના દિવસે ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવે છે.
અહીં હોળી સૂકા નાળીયેર,ગાયના છાણમાંથી બનાવેલ છાણાં,સૂકા ફૂલના હાર,નાળીયેરની કાચલી તથા શ્રીફળના છોતરા, જૂની ધજા અને ધજાની લાકડીઓ વગેરે થી તૈયાર કરવામા આવે છે. પૂનમની સંધ્યા આરતી બાદ પૂજારી શ્રી દ્વારા પરંપરાગત રીતે હોળીની પૂજા કરી હોળીને પ્રગટાવવામાં આવે છે.
ડુંગર પર ચોટીલા ઉપરાંત સમગ્ર ગુજરાત તેમજ મુંબઈ-મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી ગુજરાતની બોર્ડર પાસેના આ રાજ્યોના ગામડાઓ માંથી ખુબજ મોટી સંખ્યા માં ભક્તજનો હોળી ના દર્શન કરવા આવે છે. ચોટીલા પંથકમાં વર્ષો જૂની પરંપરા છે કે ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવાય ત્યારબાદ જ આખા પંથક ના ગામડાઓ મા ગ્રામજનો હોળી પ્રગટાવે છે.
ચોટીલા ડુંગર પરની હોળીના આજુબાજુના અંદાજે ૧૦ થી ૧૫ કિલોમિટરની ત્રિજ્યા માં આવતા ગામવાસીઓ હોળીના દર્શન કરી શકે છે. જો વાતાવરણ સ્વચ્છ હોય તો ૨૦ થી ૨૨ કિલોમિટર સુધીના અંતર સુધી ચોટીલા ડુંગર પરની હોળીના દર્શન થાય છે.
(મનસુખગિરિ ગોસ્વામી-ચોટીલા મંદિર મહંત પરિવાર)