મહાનુભાવોના વરદહસ્તે વણોદ ક્લસ્ટરના ૨૬ જેટલા સ્વ-સહાય જૂથના બહેનોને રૂ. ૧ કરોડ અને ૫૬ લાખના કેશ ક્રેડિટ લોનના મંજૂરી હુકમનું વિતરણ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ખાતે મિશન મંગલમ યોજના અને પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ઉપક્રમે સ્વ-સહાય જૂથો માટે કૃષિ પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ એન.આર.એલ.એમ.ના લાઈવલીહુડ મેનેજરશ્રી જશવંતસિંહ ડોડીયા દ્વારા ઉપસ્થિત સખી મંડળની બહેનોને કૃષિ સખી, સ્વ-સહાય જૂથનો ફાયદા અને બહેનો સ્વ-સહાય જૂથ બનાવી કેવી રીતે પગભર થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે પાટડી તાલુકા લાઈવલીહુડ મેનેજરશ્રી સંજયસિંહ ચાવડા દ્વારા સ્વ-સહાય જૂથની બહેનોને ઉત્સાહિત કરવામાં આવી હતી, અને પંજાબ નેશનલ બેંકનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાજકોટ ઝોનના પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજરશ્રી રામેશ્વર ગોધારા, એગ્રિકલ્ચર ઓફિસરશ્રી કમલકર પવાર, ડીએલએમશ્રી સુરેન્દ્રનગર, ટીએલએમશ્રી પાટડી અને એપીએમ શ્રીમતી તૃપ્તિબેન આચાર્યના હસ્તે વણોદ ક્લસ્ટરના ૨૬ જેટલા સ્વ-સહાય જૂથના બહેનોને જૂથ દીઠ રૂપિયા ૬ લાખ લેખે રૂપિયા ૧ કરોડ અને ૫૬ લાખના કેશ ક્રેડિટ લોનના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંજાબ નેશનલ બેંક-વણોદ શાખાના મેનેજરશ્રી શ્રેષ્ઠ કોહલી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. જ્યારે વણોદ ક્લ્સ્ટરના કલ્સ્ટર કોર્ડીનેટરશ્રી કામરનભાઈ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વણોદ ક્લ્સ્ટરના સ્વ-સહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.