સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ ગઈકાલે રાત્રે લોહીયાળ બની ગયો હતો. એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ટ્રક અને બાઈક વચ્ચેની ભીષણ ટક્કરમાં ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રિના સુમારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણેય યુવાનો અંગત મિત્ર હોવાથી કટુડા નાસ્તો કરવા જઈ રહ્યા હતા. જેમાં બાઈક પર સવાર ત્રણ મિત્રો – દિવ્યાંશ અશોક પરમાર, ઇમરાન રમઝાન મોવર, અને અફઝલ યુનુસ સિપાઈ – ત્રણેયને સામેથી આવતા ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે શહેરની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડી, તેને એ ડિવિઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં શોક અને માતમ છવાઈ ગયો છે. આશાસ્પદ યુવાનોના મોતથી પરિવારમાં શોક અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.