સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના શ્રીનાથજી સોસાયટી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવી છે. બનાવમા પરિવાર પૂનમે દસાડા ગામે સદસેવા ગુરૂધામ આશ્રમે દર્શન માટે ગયા હતા. તેઓ રાત્રે આશ્રમમાં રોકાયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ત્યારે આ અંગેની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પાટડીના શ્રીનાથજી સોસાયટી વિસ્તારમાં કેશવલાલ મગનલાલ પ્રજાપતિના પુત્ર રાજેશકુમાર પોતાના પરિવાર પૂનમે દસાડા ગામે સદસેવા ગુરૂધામ આશ્રમે દર્શન માટે ગયા હતા. તેઓ રાત્રે આશ્રમમાં રોકાયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડીને મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડીને તેમાંથી સોનાની કાનની બુટી એક જોડ, સોનાની કડી એક જોડ અને સોનાના બે ઓમ મળી કુલ રૂ. ૩૫,૦૦૦ની કિંમતના દાગીના ચોર્યા હતા. આ ઉપરાંત ચાંદીના હાથના કડા, ચાંદીની લકી અને કાંડીયા મળી કુલ ૨૦૦ ગ્રામ ચાંદી જેની કિંમત રૂ. ૧૫,૦૦૦ છે તે પણ લઈ ગયા હતા. તસ્કરોએ રોકડા રૂ. ૪૦,૦૦૦ પણ ચોરી લીધા હતા.
ત્યારે પાડોશી ઘનશ્યામભાઈ પટેલે ચોરીની જાણ કરતાં રાજેશકુમાર તાત્કાલિક દસાડાથી પાટડી પરત આવી તેમણે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે આ કેસની તપાસ પાટડી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વાય.જી.ઉપાધ્યાય કરી રહ્યા છે.