ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરાઈ હતી:સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં ભુપતસીંહ ટપુભા ઝાલા રહે છે. તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નીવૃત જીવન ગાળે છે. દોઢેક વર્ષ પહેલા તેઓના મીત્ર અને નીવૃત કલાસ-ર ઓફીસર મુળ લીંબડીના રળોલના જનકકુમાર બી.રાવલ સાથે તેઓ પરીચયમાં આવ્યા હતા. તેઓને બે દિકરી પાયલબેન અને અનુરાધાબેન છે. ગત માર્ચ-૨૦૨૩માં પાયલબેને ફોન કરી ભુપતસીંહને જણાવ્યુ કે, બહ્મ સમાજના અને દુરના સગા નીલેશભાઈ પંચોલીની ઓએનજીસીમાં ઓળખાણ છે. કોઈ સંબંધીને નોકરીએ લગાવવા હોય તો રૂ. ૧૫ લાખ વહીવટ ઉમેદવારદીઠ આપવો પડશે. જેમાં નોકરીએ લાગ્યા બાદ કલાર્ક તરીકે રૂ. ૫૦ હજાર અને સુપરવાઈઝર તરીકે ૭૦ હજારના પગારની વાત કરી હતી. આથી ભુપતસીંહે પોતાના પુત્ર દીગપાલસીંહ ભુપતસીંહ ઝાલા, જયેન્દ્રસીંહ સુરજસીંહ ઝાલા, બીરેન્દ્રસીંહ કીર્તીસીંહ જાડેજા, યશરાજસીંહ પ્રદીપસીંહ જાડેજા, પૃથ્વીરાજસીંહ નટુભા જાડેજા, રાજેન્દ્રસીંહ નટુભા જાડેજા, હરદીપસીંહ ભુપતસીંહ ઝાલા, સીધ્ધરાજસીંહ દીલીપસીંહ ઝાલાના પૈસા આપ્યા હતા. બાદમાં તેઓના નકલી સહી સીક્કાવાળા ઓર્ડર મળ્યા હતા. અને તેમાં દહેરાદુન ટ્રેનીંગ માટે જવાનું કહેવાયુ હતુ.
પરંતુ આ રદ્દ થઈ હોવાનું કહી પૈસા પાછા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ રકમ પરત ન અપાતા ભુપતસીંહ ઝાલાએ એ ડીવીઝન પોલીસ મથકે અમદાવાદમાં રહેતા નીલેશ કીરીટકુમાર પંચોલી, પાયલબેન મેહુલકુમાર અને અનુરાધાબેન રાવલ સામે તા. ૩૦-૧૧-૨૩ના રોજ રૂ. ૪૮.૩૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં અમદાવાદમાં રહેતા નીલેશ કીરીટકુમાર પંચોલીને પોલીસે અગાઉ ઝડપી લીધો હતો. હાલ તે જેલમાં છે. ત્યારે આ ગુનામાં લાંબા સમયથી ફરાર આ બે સગી બહેનો અનુરાધા તેમજ પાયલને એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડાના માર્ગદર્શનથી સ્ટાફે ઝડપી લીધી છે. બન્ને બહેનોને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.