પી.એમ.આવાસ યોજના અંતર્ગત જિલ્લાનાં ૧૦ તાલુકામાંથી ૨૫,૫૪૦ નવા લાભાર્થીઓ નોંધાયા:સૌથી વધુ ૮૧૯૩ લાભાર્થી લીંબડીમાં અને સૌથી ઓછા ૨૪૯ લાભાર્થી થાનગઢ તાલુકામાં નોંધાયા
કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી આવાસ પ્લસ-૨૦૨૪ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નિયામકશ્રીનાં માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ જિલ્લાના ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ. વઢવાણ એમ ૧૦ તાલુકાની ૫૨૯ ગ્રામપંચાયતોમાં તા. ૦૮.૦૧.૨૦૨૫ સુધી સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસીય છત્ર પૂરૂ પાડી શકાય એ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં ૨૫,૫૪૦ લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જે પૈકી સૌથી વધુ લીંબડી તાલુકામાં ૮૧૯૩ લાભાર્થીઓનો સર્વે કરાયો છે. સૌથી ઓછા ૨૪૯ લાભાર્થી થાનગઢ તાલુકામાં નોંધાયા છે. અગાઉ વર્ષ ૨૦૧૮માં આવાસ પ્લસની યાદીનો સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. જે યાદીમાં સમાવેશ કરેલ લાભાર્થીઓને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં લાભ આપવામાં આવ્યો છે.ચોટીલા તાલુકામાં ૭૧ ગ્રામ પંચાયતમાં ૨૦૬૨ પરિવાર, ચુડા તાલુકામાં ૩૬ ગ્રામ પંચાયતમાં ૨૦૮૦ પરિવાર, દસાડા તાલુકામાં ૮૮ ગ્રામ પંચાયતમાં ૬૮૯૦ પરિવાર, ધ્રાંગધ્રા તાલુકામાં ૬૪ ગ્રામ પંચાયતમાં ૫૮૧ પરિવાર, લખતર તાલુકામાં ૪૨ ગ્રામ પંચાયતમાં ૧૬૪૫ પરિવાર, લીંબડી તાલુકામાં ૫૧ ગ્રામ પંચાયતમાં ૮૧૯૩ પરિવાર, મુળી તાલુકામાં ૫૩ ગ્રામ પંચાયતમાં ૧૧૯૩ પરિવાર, સાયલા તાલુકામાં ૬૧ ગ્રામ પંચાયતમાં ૨૨૧૩ પરિવાર, થાનગઢ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતમાં ૨૪૯ પરિવાર, વઢવાણ તાલુકામાં ૪૦ ગ્રામ પંચાયતમાં ૪૩૪ પરિવાર સહીત કુલ ૨૫,૫૪૦ જેટલા પરિવારોનો સર્વે કરવામાં આવ્યો છે.સર્વે દરમિયાન કરવામાં આવેલી કામગીરી...
ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલ જોગવાઈ અનુસાર, પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી સર્વેક્ષણથી વંચિત ન રહે તે માટે ગ્રામ્યકક્ષાએ તલાટી કમ મંત્રી સહિત તાલુકાકક્ષાના અધિકારી/કર્મચારી જેમ કે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ટેકનિકલ કર્મચારી, તેમજ આઈઆરડી તેમજ તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારીને પણ સર્વેક્ષણની કામગીરી સોંપવામાં આવી હતી.
સર્વે દરમિયાન અનુસરવામાં આવેલી નિયત કાર્યપદ્ધતિ...
સૌ-પ્રથમ જે સર્વેયર સર્વે કરનાર છે તેનું આવાસ સોફ્ટમાં મેપિંગ થાય છે. જે બાદ સર્વેયર આવાસ પ્લસ ૨૦૨૪ એપ્લિકેશનમાં પોતાનું આધાર કાર્ડ નાખીને ફેસ KYC કરે છે. ત્યારબાદ સૌપ્રથમ અરજદાર અને તેમના રેશનકાર્ડમાં જેના નામ છે તેની એન્ટ્રી કરવામાં આવે છે. જેમાં અરજદાર અને તેમના કુટુંબીજનનાં નામ, આધારકાર્ડ નંબર, જોબકાર્ડ નંબર, મોબાઈલ નંબર, શિક્ષણ, વ્યવસાય, પરિવારના સભ્યો, બીમારીની વિગત, વાર્ષિક આવક સહિતની વિગતો ઉમેરવામાં આવે છે. રેશનકાર્ડમાં દર્શાવેલા તમામ સભ્યોની વિગતો જણાવવાની રહે છે. મૂળ અરજદારની પસંદગી માટે મહિલા અરજદારને પસંદ કરી તેમનું ફેસ KYC કરવામાં આવે છે.
તદુપરાંત, અરજદારના બેન્ક ખાતાની વિગતો અપડેટ કરવામાં આવે છે. જેમાં બેન્ક/બ્રાન્ચ/આઈએફએસસી કોડ/ખાતા નંબર/બેન્ક પ્રમાણે નામ એડ કરવામાં આવે છે. આવાસ સંબંધિત પ્રશ્નોતરી જેમાં ઘરની માલિકીનો હક્ક, દીવાલ કાચી/પાકી, છત કાચી/પાકી, રૂમની સંખ્યા, શૌચાલયની સુવિધા, આવકનો સ્ત્રોત, જોગવાઈ મુજબની પ્રશ્નોતરી, આશ્રય વિનાનું ઘર, નિરાધાર, ભિક્ષા, સફાઈ કામદાર, આદિમ જુથ, મજૂર વગેરે જેવી માહિતી અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ જે જગ્યાએ રહે છે અને જે જગ્યાએ મકાન બનાવવાનું છે તેનું જીઓ ટેગિંગ કરવામાં આવે છે. તમામ વિગતો અપડેટ કરીને માહિતી અપડેટ થયા બાદ અરજદારનું રેકર્ડ અપલોડ કરવામાં આવે છે. જે અપલોડ થયેથી જે તે અરજદારનો સર્વે પૂર્ણ થયો ગણાય છે.
ઉપરોક્ત પદ્ધતિ અનુસાર, ગ્રામ્ય કક્ષાએ અલગ-અલગ ટીમો દ્વારા નવા સર્વે તેમજ અગાઉના અધૂરા આવાસોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ લાયક લાભાર્થી યોજનાથી વંચિત ન રહે. આ સર્વેના કારણે અગાઉ યોજનાથી વંચિત રહી ગયેલા લોકોને પણ પાકું આવાસ મેળવવાની નવી તક મળશે. હજુ પણ જિલ્લાનાં કોઈ લાભાર્થી બાકી રહી જતા હોય તો તેવા લાભાર્થીઓ પોતાની ગ્રામપંચાયત કે તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવી શકે છે.
બોક્સ મેટર...
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અન્વયે સર્વેક્ષણમાં બાકાત કરવાના પરીવારોના માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
જે મુજબ,
(૧) મોટરાઇઝ ત્રણ/ચાર વ્હીલર ધરાવતા હોય તેવા. (અગાઉ ટુ વ્હીલર/ફિશિંગ બોટ હતી જે બાકાત કરેલ છે)
(૨) મેકેનાઇઝડ ત્રણ/ચાર વ્હીલર એગ્રીકલ્ચર સાધનો ધરાવતા હોય તેવા.
(૩) ૫૦,૦૦૦ અને તેથી વધુની કિશાન ક્રેડિટ લીમીટ ધરાવતા હોય તેવા.
(૪) પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરતાં હોય તેવા.
(૫) સરકારશ્રીના નોન-એગ્રીકલ્ચરલ એન્ટરપ્રાઇઝમાં રજીસ્ટર થયેલ હોય તેવા.
(૬) પરિવારનો કોઈ સભ્ય ૧૫૦૦૦થી વધારે આવક ધરાવતા હોય તેવા. (અગાઉ ૧૦,૦૦૦ માસિક આવક હતી)
(૭) ઇન્કમટેક્ષ ભરતા હોય તેવા.
(૮) પ્રોફેશનલ ટેક્સ ભરતા હોય તેવા.
(૯) ૨.૫ એકર કે તેથી વધારે પિયત જમીન ધરાવતા હોય તેવા.
(૧૦) ૫ એકર કે તેથી વધુ બિનપિયત જમીન ધરાવતા હોય તેને આ યોજના અન્વયે લાભ મળી શકશે નહિ.
અગાઉ રેફ્રીજીરેટર ધરાવતા હોય તેને આ યોજનાનાં લાભમાંથી બાકાત કરવામાં આવ્યા હતા. પંરતુ હાલ તેવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
(ભાવિકા લીંબાસીયામા હિતી બ્યુરો, સુરેન્દ્રનગર)