હીટવેવ અન્વયે સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે પાણી અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરતાં કલેકટર
રાજ્ય સરકાર દ્વારા વહીવટ તંત્રને વધુ અસરકારક, જવાબદાર તથા પારદર્શી બનાવવાના હેતુથી દર મહીને જિલ્લામાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળે છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટરશ્રી ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી, સભાખંડ ખાતે મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ હાલ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હીટવેવ માટે તકેદારીનાં પગલાંઓ, કચેરીઓમાં બપોર વચ્ચેનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે, જનસેવા કેન્દ્રો સહીત સરકારી તમામ કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાંયડામાં બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, બાંધકામ શ્રમયોગીઓ, રોડ રસ્તાની કામગીરી, નરેગાની કામગીરી કરતાં શ્રમિકો માટે કામગીરીનાં સ્થળોએ બપોરનાં સમયગાળા દરમિયાન છાંયડામાં બેસવાની વ્યવસ્થા સહિતની તકેદારીઓ લેવા સંબધિત અધિકારીશ્રીઓને સૂચિત કર્યા હતા.
તદુપરાંત ગત ચોમાસા દરમિયાન જે જગ્યાઓ ઉપર પાણી ભરાયા હોય તે જગ્યા ઉપર સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે રીતે પ્રિ – મોન્સુન કામગીરીનું આગોતરું આયોજન કરવા પણ સંબધિત વિભાગોના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં બાકી નિવૃત પેન્શન કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસુલાત, સાંસદ-ધારાસભ્યશ્રીનાં પત્રોનો નિયત સમયમર્યાદામાં નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ.નાં જવાબો, એ.જી.ઓડિટનાં બાકી પારા સહિતનાં મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, પોલીસ મહાનિરીક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી આર. કે. ઓઝા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એસ. કે. અટારા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.