સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા શ્રી સોમપુરાની વાડી ખાતે “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી જે.એચ.આદેસરા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રાહક તરીકેની ફરજો અને અધિકારો વિશે જાગૃત કર્યા હતા. ગ્રાહક સામે છેતરપીંડી થાય તો કઈ રીતે અને ક્યાં ફરિયાદ કરવી તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે ઉપસ્થિત BISના અધિકારીશ્રી પ્રહલાદ પટેલ દ્વારા સોનાની ખરીદી માટે શુ ધ્યાન રાખવું એ બાબતે ચોક્કસાઈપૂર્વક માર્ગદર્શન આપ્યું હતુ. વધુમાં, તેઓએ ISI માર્ક ધરાવતી ચીજવસ્તુ ખરીદવા અંગે શુ ધ્યાન રાખવુ તે બાબતે પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તદુપરાંત BIS ના અધિકારીશ્રી સુમીતભાઈ ગજ્જર, સદ્દગુરુ મહિલા વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન જોષી, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર શ્રી નિશાબેન રામાનુજ, શ્રીમતી મીનાબા લીંબડ દ્વારા કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.