પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર શ્રી ડો. રાજેન્દ્ર પટેલ
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર શ્રી ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાજબી ભાવની નવી બ્રાન્ચ ખોલવા બાબત તેમજ વાજબી ભાવની દુકાનો દ્વારા થતા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્ર પટેલે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ ફેબ્રુઆરી માસ દરમિયાન પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાન, વાજબી ભાવની દુકાનની બ્રાન્ચ ખોલવા બાબત, હાલ જિલ્લાને મળતો જથ્થો, ફેબ્રુઆરી માસમાં વિતરણ થયેલો જથ્થો, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે. જે પૈકી ૩૮ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે. NFSA ૨૫૨૯૫૮ કાર્ડ અને NON NFSA ૧૯૫૫૫૨ કાર્ડ નોંધાયેલા છે. ફેબ્રુઆરી માસમાં કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા ૧૮ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડીલર/એજન્સી/ફેરિયા – ૦૬ એકમમાં તપાસ સામે ૦૧ સામે કાયદેસરની કાર્યવાહી, સસ્તા અનાજની ૨૩ દુકાનોમાં તપાસ સામે ૦૩ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ અન્ય વેપારી/ફેરિયાના - ૪૧૦ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૧૯ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ. ૪૦,૨૦૦/- તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૩,૭૭,૧૧૦/- ફી વસુલ કરવામાં આવી હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફેબ્રુઆરી માસમાં ૧૮ જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા. ૧૬ જેટલા નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન અને લાયસન્સ સાથે ૧૫૬ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, પાણીની લારી, અનાજ કરિયાણાની પેઢી અન્ય સ્થળ સહિત ૧૬ જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી. આ તકે નમુનાઓનું પ્રમાણ વધારવા માટે કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.