મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા....
- જળ સંચય માટે "કેચ ધ રેઇન" અભિયાન અન્વયે કોઈપણ યોજના હેઠળ બનેલા તળાવો, ચેકડેમો રીપેર કરાશે
- સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સૌની યોજના અન્વયે કામગીરી પ્રગતિ હેઠળ
- સિંચાઈ અને પાણીનો પ્રશ્ન કઈ રીતે હલ કરી શકાય તે માટે ચિંતિત સરકાર સતત પ્રયત્નશીલ
સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે સાયલા તાલુકાના ધજાળા ગામે યાંત્રિક મશીનરીથી નાની સિંચાઈ યોજનાના તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે અમલી સૌની યોજના થકી જુદી જુદી લિંક મારફત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રનો પ્રદેશ હરીયાળો બન્યો હોય તો તેમાં સૌની યોજનાનો મહત્વનો ફાળો છે. સુજલામ સુફલામ્ યોજના થકી પાણીની સંગ્રહશક્તિમાં વધારો કરી કૃષિ ક્ષેત્રમાં હરિયાળી લાવી શક્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પીવાના અને સિંચાઈના પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે હાલ સૌની યોજના અન્વયે કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયે લોકોની લાંબાગાળા સુધી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે. જળ સંચય માટે "કેચ ધ રેઇન" અભિયાન સરકારશ્રી દ્વારા અમલી છે ત્યારે કોઈપણ યોજના હેઠળ બનેલા તળાવો બન્યા હોય, તેના ચેકડેમો રીપેર કરવામાં આવશે. પાળા વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરીને તળાવ ઊંડા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન ખેડૂતો તળાવમાંથી પોતાના ખર્ચે કાંપ, માટી લઈ જઈ શકશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કઈ રીતે થઈ શકે તેવા પ્રયાસો નિરંતર કરવામાં આવી રહ્યા છે. સિંચાઈ અને પાણીનો પ્રશ્ન કઈ રીતે હલ કરી શકાય તે માટે સરકાર દ્વારા સતત ચિંતિત રહી શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાણીનો દૂર ઉપયોગ કે ચોરીના બનાવો ન બને તે માટે ગ્રામજનોને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અંગે ટકોર કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ચોમાસામાં વહી જતા વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકીએ તેવા સઘન પ્રયાસો કરવા જોઈએ. વધારાનું પાણી કુવાઓમાં ઉતરે તેવું આયોજન કરવું જોઈએ. ધજાળા ગામના તળાવને ઊંડું કરવામાં આવી રહ્યું હોવાથી તળાવની જળસંગ્રહ શક્તિ વધશે. ખેડૂતોને આ કામગીરીમાં સાથ સહકાર આપવા અનુરોધ કરતા કહ્યું હતું કે, આ તળાવ થકી આસપાસના ગામના લોકોને પીવાના અને સિંચાઈનો પાણીનો લાભ થશે. આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે.
આ પ્રસંગે ગામની બાળાઓએ કુમકુમ તિલક કરી માથે સામૈયું લઈ મંત્રીશ્રીને હર્ષભેર આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓએ તળાવોને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ ખુબ ઝડપથી કરવામાં આવી રહ્યુ છે. આ તકે ગામ સરપંચ શ્રી શિવરાજભાઈ થોર, અગ્રણી શ્રી નાગરભાઈ જીડીયા સહિતના આગેવાનશ્રીઓ, પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.