સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામ ખાતે આવેલા ભરતભાઈ ડેડાણીયાનાં રામરસ મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ લીધી હતી.
આ તકે ભરતભાઈ ડેડાણીયાએ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મધમાખી વિશે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું. ભરતભાઈ સાતેક વર્ષથી મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક મેળવી આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે, વરીયાળી, તલ, સરગવો, અજમો, બાવળ, જેવા વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરી શકાય છે.
વધુમાં તેઓએ મધમાખીનું શું મહત્વ છે? તેના ફાયદા વિશેનું માર્ગદર્શન પણ આ તકે આપ્યું હતું. મધમાખી કેવી રીતે મધ આપે છે? મધમાખીનું જમીન અને વાતાવરણમાં શું મહત્વ છે? તેના થકી કેવી મધ ઉત્પાદન મેળવી શકીએ છીએ તેમજ મધ ખાવાથી શું ફાયદા છે. અલગ અલગ ફ્લેવરના મધ લોકોને શું કામ આવે છે? તે વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમ કે, અજમા ફ્લેવરનાં મધથી શરદી ઉધરસ મટી શકે છે. બાવળ અને સરગવા ફ્લેવરના મધથી સાંધાના દુખાવા દૂર થાય છે. વરિયાળી ફ્લેવરથી ઠંડક મળે છે આ તકે વિદ્યાર્થીઓ પણ રૂબરૂ મુલાકાતથી પ્રભાવિત થયા હતા. રૂબરૂ બધી પ્રક્રિયા જોઇને ખુબ સારી માહિતી મળ્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, માનવ, છોડ, પ્રાણીઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મધમાખી મુખ્ય ભૂમિકા ભજવે છે. મધમાખીઓ વિના ખોરાકની અછત રહેશે અને વસ્તીનો એક વિશાળ ભાગને ભૂખમરાની અસર થઈ શકે છે. મધમાખી પરાગનયન દ્વારા વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરે છે. સરકાર દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે તેમજ તેમાંથી સારી આવક મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ થકી ખેડૂતો સારી આવક મેળવી ઊંચું જીવનધોરણ જીવી શકે છે.