ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન મનોજ કુમાર *વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન રૂ.૧૭૪.૪૫ કરોડ અને કુલ વેચાણ રૂ.૩૨૭.૭૨ કરોડ થયુ છે
નવા ભારતની નવી ખાદી' ને નવો આયામ આપવાના ઉદ્દેશ્ય સાથે અડાજણ સ્થિત હની પાર્ક ખાતે રાજ્ય સ્તરીય ખાદી અને પીએમઈજીપી (પ્રધાનમંત્રીનો રોજગાર સર્જન કાર્યક્રમ)ના સંયુક્ત ખાદી મહોત્સવ -૨૦૨૫ને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ મનોજ કુમારના હસ્તે ખુલ્લો મુકવામાં હતો. આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ તા.૨જી માર્ચ-૨૦૨૫ સુધી ખુલ્લો રહેશે. 'ખાદી ક્રાંતિ'એ ભારતનાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એમ જણાવતા કેવીઆઇસીના ચેરમેન મનોજ કુમારે વધુમાં કહ્યું હતું કે, ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે.'મેક ઈન ઈન્ડિયા', 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી પ્રોડક્ટ્સ' પર દેશના લોકોનો વિશ્વાસ વધ્યો છે. ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક કારીગરો માટે નવી તકો ઉભરી રહી છે એમ શ્રીકુમારે કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'સ્થાનિક માટે અવાજ'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે સુરતના લોકોને વધુમાં વધુ સંખ્યામાં ખાદી પ્રદર્શનમાં આવવા અને ભારતના વારસાને સ્વીકારવા અપીલ કરી હતી.
ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ તાલીમ બાદ લાભાર્થીઓને સાધનો અને ટૂલકીટનું વિતરણ કરાયું
તેમણે કહ્યું કે, ખાદી ભારતની રાષ્ટ્રીય ધરોહર છે અને તેને અપનાવવા અનુરોધ કર્યો હતો. શ્રી કુમારે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ૨૪૪ નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા કારીગરો-વણકરોને રોજગારી આપી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન રૂ.૧૭૪.૪૫ કરોડ હતું અને કુલ વેચાણ રૂ.૩૨૭.૭૨ કરોડ થયું છેતલ. આ નાણાકીય વર્ષમાં પીએમઈજીપી હેઠળ ૧૨૫૫ નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યારે ૧૫૦ કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ૫ નવા સ્ફૂર્તિ ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવી છે. વધુમાં અધ્યક્ષે ખાદીના ક્ષેત્રે છેલ્લા ૧૦ વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા ઉમેર્યું કે, ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોના વેચાણમાં પાંચ ગણો વધારો થયો છે. જે પહેલા રૂ.૩૧ હજાર કરોડથી વધીને રૂ.૧.૫૫ લાખ કરોડ થઈ છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં ૧૦.૧૭ લાખ નવા લોકોને રોજગારી મળી છે. અધ્યક્ષે કહ્યું, 'છેલ્લા ૧૦ વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં ૨૦૦ ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે. આજે ખાદી માત્ર એક કાપડ નથી પણ ભારતની ઓળખ બની ગઈ છે. ખાદી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે, આ ક્ષેત્રમાં ૮૦ ટકાથી વધુ યોગદાન માતાઓ- બહેનોનું છે.
ખાદી મહોત્સવ-૨૦૨૫: ૨જી માર્ચ સુધી સ્વદેશી ખાદી અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ ખરીદવાની સુવર્ણ તક
આત્મનિર્ભરતા અને સ્વદેશીનું પ્રતીક બનેલી ખાદી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'ચરખા ક્રાંતિ' દ્વારા આત્મનિર્ભર ભારતની ઓળખ બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના 'ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન'ના આહવાન હેઠળ ખાદી અને ગ્રામોદ્યોગ નવી ઊંચાઇએ પહોંચી રહ્યા છે. ગ્રામોદ્યોગ વિકાસ યોજના અને SFRUTI યોજના અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગ વસ્તુઓના વેચાણ સહ પ્રદર્શનને તા.૨જી માર્ચ-૨૦૨૫ સુધી ખુલ્લો રહેશે. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ ૫૧૨ સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બી-બોક્સ, પ્લમ્બર ટૂલકીટ, વાંસ ટૂલકીટ, ઇલેક્ટ્રિશિયન ટૂલકીટ, એસી રિપેર ટૂલકીટ સહિત કચ્છી ઘાની તેલ મશીન સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, પંજાબ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાંથી ખાદી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકોના ૫૦ ખાદી અને ૫૦ પીએમઈજીપી, સ્ફૂર્તિ અને ગ્રામોદ્યોગ સંબંધિત એકમોના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના લાભાર્થીઓ, ખાદી કામદારો અને ગુજરાત સરકાર અને કેવીઆઇસીના અધિકારીઓ-કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા