લખતર તાલુકાનાં આદલસર ગામે કલસ્ટર બેઝ તાલીમ યોજાઈ

0
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા મહામુહિમ ચલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાનાં આદલસર ગામે કલસ્ટર બેઝ તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં "માટી બચાવો" અભિયાન અંતર્ગત દેશભરમાં જનજાગૃતિ માટે સાયકલ યાત્રા કરતા મોહિત નિરંજન સહભાગી થયા હતા.
આ તકે મોહિત નિરંજને ખેડૂતોને માટીની મહત્તા સમજાવતા જણાવ્યું હતું કે, આપણે વધુ ઉત્પાદન મેળવવા માટે રસાયણિક દવાઓ અને ખાતરોના અવિવેકપૂર્વક ઉપયોગથી પાકની ગુણવતા અને જમીનનું સ્વાસ્થ્ય ખરાબ કરી નાખ્યું છે. પરિણામે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. જમીન ધીમે ધીમે બંજર અને બિન ઉપજાઉ થઈ રહી છે. આપણે જમીનને સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ. રસાયણનો ઉપયોગ બંધ કરવો જોઈએ. જેથી આપણા પરિવારની તંદુરસ્તી જળવાઈ રહે અને ઝેરમુક્ત આહાર મળી રહે સાથે સાથે માટીનું સ્વાસ્થ્ય પણ સુધરે.
આ તકે ઉપસ્થિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલે મોહિત નિરંજનને સુરેન્દ્રનગર જિલ્લામાં થતી જમીન બચાવો અભિયાન અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલ પ્રાકૃતિક કૃષિના મિશન તેમજ "સોઈલ હેલ્થ કાર્ડ" વિશે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, “આજે જમીનની તંદુરસ્તી-સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે. જીવ જગતને જીવાડનાર ધરતીને ફળદ્રુપ અને નવપલ્લવિત કરવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ફળદ્રુપ જમીન જ વધુ ઉપજ આપી શકે. માનવજાતના શુદ્ધ આહાર માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. જમીનના કાર્યક્ષમ ઉપયોગની હેતુપૂર્તિ જમીનની તંદુરસ્તી પર અવલંબે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કૃષકોની સંખ્યા વધી રહી છે, ત્યારે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના લલિતપુરના ૨૩ વર્ષીય ખેડૂત પુત્ર મોહિત નિરંજન "માટી બચાવો"ના સંદેશ સાથે સમગ્ર ભારતમાં સાયકલયાત્રા કરી રહ્યા છે. તેમણે ૧૬ નવેમ્બર,૨૦૨૨ના રોજ પોતાના વતન લલિતપુરથી શરૂઆત કરી હતી. આ નવયુવાન આજરોજ લખતર તાલુકાનાં આદલસર ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામ લોકોએ તેઓને ભાવપૂર્વક આવકાર્યા હતા. તેઓ કન્યાકુમારી, રામેશ્વરમ, ઉત્તર પૂર્વ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિતના ૧૮ રાજ્યોને આવરી લઈ હાલ ગુજરાતમાં પ્રવાસ કરી લોકોને જમીન બચાવવા માટે હાકલ કરી રહ્યા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top