સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર શ્રી ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્ર પટેલે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી મેળવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાન, વાજબી ભાવની દુકાનો મર્જ કરવા બાબત, હાલ જિલ્લાને મળતો જથ્થો, જાન્યુઆરી માસમાં વિતરણ થયેલો જથ્થો, કાનૂની માપ વિજ્ઞાન ખાતા દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી પૂરી પાડી હતી.
હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો કાર્યરત છે. જે પૈકી ૪૧ જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે. NFSA ૨૫૧૩૮૬ કાર્ડ અને NON NFSA ૧૯૬૦૩૨ કાર્ડ નોંધાયેલા છે. જાન્યુઆરી માસમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા ૧૭ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડીલર/એજન્સી/ફેરિયા – ૦૬, સસ્તા અનાજની ૧૭ દુકાનો , અન્ય વેપારી/ફેરિયાના -૪૧૪ એકમો સહીત કુલ ૪૫૪ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૧૭ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ. ૨૯,૦૦૦/- તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૨,૫૯,૭૯૦/- ફી વસુલ કરવામાં આવી હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાન્યુઆરી માસમાં ૩૨ નમુનાઓ લેવામાં આવ્યા હતા. ૬૩ જેટલા નમુનાઓની ચકાસણીમાંથી ૦૬ જેટલા નમૂનાઓ અપ્રમાણસર જણાયા હતા. એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ૦૧ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કમર્ચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.