સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત વર્ગ ૪ ના કર્મચારીશ્રી રાજેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય સમારંભ જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયો હતો. રાજેન્દ્રસિંહ પરમાર તા.૨૪.૦૯.૧૯૯૨ના રોજ ચોટીલા ખાતે માહિતી પ્રચાર એકમમાં હાજર થયા હતા. ત્યારબાદ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસીયાએ રાજેન્દ્રસિંહ પરમારની સરકારી સેવાને બિરદાવીને તેઓનું નિવૃત્તિ જીવન આરોગ્યપ્રદ અને દીર્ઘ આયુષ્યવાળું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ નિવૃતિ જીવનની શુભકામના પાઠવી, તેઓની કામગીરીની કુશળતા અને શિસ્તબદ્ધતા, મિલનસાર સ્વભાવ સહિતનાં સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ શ્રી રાજેન્દ્રસિંહે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને બિરદાવી હતી.
રાજેન્દ્રસિંહે ૩૮ વર્ષની સુદીર્ધ કારકિર્દીના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સરકારી સેવામાંથી ભલે નિવૃત થતો હોઉ પંરતુ માહિતી પરિવાર સાથેનો મારો નાતો આજીવન રહેશે. ચોટીલા ખાતે હાજર થયા ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન તમામ સ્ટાફ મિત્રોના મળેલા સહકારને તેમજ માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. આ ઉપરાંત તેમણે સાથી કર્મચારીઓના પ્રેમ, લાગણીને યાદ કરી બધાનો શુભેચ્છા સાથે આભાર માન્યો હતો.
આ તકે ઉપસ્થિત નિવૃત નાયબ માહિતી નિયામક શ્રી નિરાલા જોશી, નિવૃત સહાયક માહિતી નિયામકશ્રી જગદીશભાઈ સત્યદેવ તથા માહિતી પરિવારના મિત્રોએ નિવૃતિ જીવનની શુભેચ્છાઓ આપી સંસ્મરણો વાગોળ્યા હતા.
આ તકે રાજેન્દ્રસિંહ પરમારને શ્રી ફળ અને સાકરનો પડો, પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેમજ સાથી મિત્રો તથા પરિવારજનો દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરી તંદુરસ્ત અને પ્રગતિશીલ જીવનની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે સુરેન્દ્રનગર માહિતી પરિવારના કર્મયોગી સર્વશ્રી હરિકૃષ્ણ ગોહિલ, શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા, કૌશિક રાઠોડ, કદર્મ વ્યાસ, અજય મહેતા, ફૈઝલ ચૌહાણ, કિશન વડેસા, અનુપસિંહ પરમાર, વિક્રમસિંહ ઝાલા, હબીબભાઈ ખોખર સહિત સાથી મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી.