તાજેતરમાં રાજ્યમાં એક સાથે ૯ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બનશે તેથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાઈ હતી. ત્યારે કચેરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ વાસીઓને વઢવાણની અસ્મિતા જોખમાઇ હતી.
જેથી વતન પ્રેમીઓ દ્વારા વઢવાણ અસ્મિતા મંચ દ્વારા આગેવાનોનો સંપર્ક કરી વઢવાણ અસ્મિતા મંચ દ્વારા બીન રાજકીય સંગઠનો સાથે આ અંગે તા. ૭ જાન્યુઆરી-૨૦૨૫ને મંગળવારે વઢવાણ દાજીપરા ખાતે આવેલા લાલજી મહારાજની જગ્યામાં બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાજુદાન ગઢવી, સતીશ ગમારા, પરેશભાઈ પરીખ, અશોક રામી, દશરથસિંહ અસવાર, કમલેશભાઈ કોટેચા, સ્મિતાબેન રાવલ સહિત મહેન્દ્રભાઈ પરમાર તથા વઢવાણ રહીશો, આગેવાનો ઉપસ્થિત રહી અસ્મિતા બચાવવા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે બેઠક અંતે વઢવાણ મહાનગરપાલિકાનું નામકરણ રાખવા માટે વઢવાણ અસ્મિતા મંચ દ્વારા અસ્મિતા મંચના નેજા હેઠળ મળેલી બેઠકમાં આગેવાનોએ ઉપવાસ આંદોલન, ધરણા, રેલી તેમજ વઢવાણ બંધના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી હતી.