મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત પંચામૃત મહિલા અધિવેશનમાં ઉદબોધન કર્યુ-સરકારના સ્ત્રી સશક્તિકરણના સફળ પ્રયાસો વર્ણવ્યા
મુખ્યમંત્રીશ્રી..
- સરકાર માતા-બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાંખીયા વ્યૂહ સાથે સેવારત
- પાટીદાર સમાજની માતૃશક્તિનું પાંચમું અધિવેશન ૨૧મી સદીમાં નારીશક્તિના સામર્થ્યને ઉજાગર કરે છે
- મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સાથે તેમની સલામતીને પ્રાથમિકતા આપીને સરકાર કામ કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટીબદ્ધ છે. વિમેન લેડ ડેવલપમેન્ટના વિચારને ગુજરાતે સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર માતા-બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાંખીયા વ્યૂહ સાથે સેવારત છે. સરકારની સાથે સામાજિક સંસ્થાઓનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત પંચામૃત મહિલા અધિવેશનમાં ઉપસ્થિત મહિલાઓને ઉદબોધન કર્યું હતું.
આ અધિવેશનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવ-કુશ) દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ પણ આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે. પાટીદાર સમાજની માતૃશક્તિનું પાંચમું અધિવેશન ૨૧મી સદીમાં નારીશક્તિના સામર્થ્યને ઉજાગર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ગ્યાન” એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણના પાયા પર વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં પણ આદરણીય વડાપ્રધાનશ્રીના જ પદચિહનો પર ચાલીને “ગ્યાન” આધારિત વિકાસને વેગવાન બનાવ્યો છે. ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. એમાંથી ૧૮૯ જેટલી યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટેની છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ અને સર્વાંગી વિકાસને સાકાર કરવા માટે રાજ્યમાં જેન્ડર ઇક્વિટિ પોલિસિ અને જેન્ડર રિસ્પોન્સિવ બજેટિંગની નવીન નીતિઓ વિકસાવી છે. ગુજરાત ૨૦૧૪માં જેન્ડર બજેટની પહેલ કરનારુ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મહિલાઓને તાલીમબદ્ધ કરીને રોજગાર આપવાના સરકારના પ્રયાસો વિશે છણાવટ કરતાં કહ્યું કે, ૩૦ લાખથી વધુ ગરીબ કુટુંબની મહિલાઓએ ૩ લાખથી વધુ સ્વ-સહાય જૂથની રચના કરીને આર્થિક ઉન્નતિનો નવો ઇતિહાસ લખ્યો છે. ૨ લાખથી વધુ સ્વ-સહાય જૂથોને રૂ. ૧૮૨ કરોડનું રિવોલ્વિંગ ફંડ આપ્યું છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સાથે તેમની સલામતીને પ્રાથમિકતા આપીને સરકાર કામ કરી રહી છે.
તેમણે મહિલાઓની સુરક્ષા સંદર્ભે કહ્યું કે, અભયમ ૧૮૧, મહિલા હેલ્પલાઇન, શી ટીમ, મહિલા સેલ અને પુલિસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર સરકારે કાર્યરત કર્યા છે. દિકરીઓ નવરાત્રિના તહેવારમાં મોડી રાત સુધી ગરબા રમીને એકલી સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે એવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ પુરુ પાડ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે મહિલા અને બાળવિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં ૧૩ ટકા વધારે એટલે કે રૂ.૬૮૮૫ કરોડના બજેટ એલોકેશનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દીકરીઓના શિક્ષણમાં મદદરૂપ થવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી અને પ્રસુતિ સહાય માટે નમોશ્રી યોજના લાવ્યા છીએ. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધો. ૯ થી ૧૨માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને ચાર વર્ષ દરમિયાન કુલ રૂ. ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ.૨૫ હજારની સહાય ચૂકવવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે, વિમેન લેડ ડેવલપમેન્ટમાં ભારત વિશ્વ માટે મિશાલ બને. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. વિકસિત ભારત@ ૨૦૪૭ના લક્ષ્યને પાર પાડવા માટે સરકારે ગુજરાત @ ૨૦૪૭ રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ મુજબ રાજ્યના અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાનું લક્ષ્ય છે.
સરકારની સાથે પાટીદાર પરિવાર ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો દ્વારા તેમાં યોગદાન આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી નરહરી અમિને જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહિલા સશક્તિકરણ મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષાના સુદ્રઢ કામો થયા છે.
તેમણે ઉમેર્યું કે, સરકાર નાગરિકોના દરેક વર્ગ અને દરેક સમાજની કલ્યાણ ભાવના સાથે કાર્યરત છે. સાંસદશ્રીએ આ તકે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓની સફળતાનો ચીતાર આપ્યો હતો.
આ અધિવેશનમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ.જીતુભાઈ પટેલ, પ્રમુખ પ્રિ. ભીખુભાઈ પટેલ, અનારબેન જે. પટેલ, ડો. નીલાબેન પટેલ, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ સહભાગી થયા હતાં. (Source: com Gujarat)