ચોટીલા ડુંગર પર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિઓ/ યાત્રાળુઓને સવારે ૦૬:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન ચડવા, ઉતરવા કે અવર-જવર કરવા પર પ્રતિબંધ
ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા.૨૮/૧૨/૨૦૨૪ ના રોજ પાંચમી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૪-૨૫ શ્રી ચોટીલા ડુંગર તળેટી ખાતે યોજાનાર છે. સવારે ૦૭:૦૦ કલાકે મહાનુભાવો દ્વારા ફ્લેગઓફ કરી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવવામાં આવશે.
ચોટીલા પર્વત ઉપર જતાં યાત્રાળુઓને કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય, આવા સંજોગોમાં ચોટીલા પર્વત ઉપર જતાં યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક-યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવાના હેતુ માટે, સીડી ઉપર સ્પર્ધા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અકસ્માત, જાનહાનીની સંભાવના નિવારી શકાય તે હેતુથી આ સ્પર્ધા દરમ્યાન ચોટીલા તળેટીથી ડુંગરે મંદીર તરફ જતાં ચોટીલા પર્વતની સીડીના પગથિયાં ઉપર આવવા-જવા માટેનું પ્રતિબંધક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, તા.૨૮/૧૨/૨૦૨૪ના રોજ સવારના ૦૬:૦૦ થી ૧૦:૦૦ કલાક (કુલ-૦૪ કલાક સુધી) ચોટીલા તળેટીથી મંદીર તરફ જતા ચોટીલા પર્વતના પગથીયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિઓ/યાત્રાળુઓને ચોટીલા પર્વતના પગથીયાનો તળેટીથી મંદિર સુધી ચડવા-ઉતરવા કે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું સ્પર્ધા વ્યવસ્થામાં ફરજ બજાવનાર સ્પર્ધાના અધિકૃત અધિકારીશ્રીઓ/સ્વયંસેવકોને લાગુ પડશે નહી.
જો કોઇ ઇસમ ઉપરોકત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.