અળસિયા નીચેની જમીનને ઉલટાવી દે છે જેના કારણે ખનીજ તત્વો નીચેથી ઉપર આવે છે
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અળસિયા જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો કરે છે
પ્રાકૃતિક કૃષિમાં અળસિયાનું મહત્વ:
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં દેશી અળસિયાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જમીનમાં રહેવાવાળા દેશી અળસિયા ફકત જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે એટલું જ નહીં તે ઉપરાંત જમીનના ભૌતિક ગુણધર્મોમાં પણ સુધારો કરે છે. દેશી અળસિયાઓ ગાયના ગોબર અને ગૌમુત્રમાંથી બનાવવામાં આવેલા જીવામૃતથી અવિશ્વસનીય રીતે વૃદ્ધિ પામે છે. દેશી ગાયના ગોબર અને ગૌમુત્રમાં રહેલી સુગંધ અળસિયાને આકર્ષિત કરે છે અને તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરે છે.
રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે જોવા મળે છે. પ્રાકૃતિક ખેતીમાં ખેતરમાં યુરિયા, ડી.એ.પી. અને કોઈપણ પ્રકારના જંતુનાશકોનો વપરાશ કરીશું નહીં તો અળસીયા પોતાનો પરિવાર વધારશે. એક એકર જમીનમાં લાખોની સંખ્યામાં અળસિયા કંઈ પણ મજૂરી લીધા વગર દિવસ રાત કામ કરે છે. જેના લીધે જમીન મુલાયમ બને છે. અળસિયા નીચેની જમીનને ઉલટાવી દે છે જેના કારણે ખનીજ તત્વો નીચેથી ઉપર આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ના કારણે વરસાદનું બધું જ પાણી આ છિદ્રો દ્વારા ધરતીના પેટમાં ચાલ્યું જાય છે. જે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે. આમ જો બધી જ જમીન પર પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો નદીમાં પુર આવવાની પણ નોબત આવશે નહીં.
અળસિયાની ગતિવિધિ:
પ્રાકૃતિક કૃષિમાં અળસિયાની ગતિવિધિ અનેક ઘણી વધે છે. વર્ષની શરૂઆતમાં જમીનમાં એક હેક્ટરમાં એક હજાર અળસીયા હોય તો વર્ષના અંતે તેની સંખ્યા ૮ લાખ જેટલી થાય છે. એટલે કે ૮૦૦ ગણા વધી જાય છે. અળસિયા દિવસમાં ૭ થી ૮ વખત જમીનમાં ઉપર આવે છે અને નીચે જાય છે. જે કારણે જમીનમાં દિવસમાં ૧૪ થી ૧૬ છીંદ્ર થાય છે. જેના લીધે હવા અને પાણીનું વ્યવસ્થાપન થાય છે. ભારતીય દેશી અળસિયા માટી અને ગોબર બંને ખાય છે. આ વિશેષતા વિદેશી અળસિયામાં હોતી નથી. અળસીયા માટી ખાય છે અને હગારના રૂપમાં બહાર કાઢે છે. સામાન્ય માટી કરતા અળસિયાની હગારમાં લભ્ય સ્વરૂપમાં પોષક તત્વોનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. આમ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં અળસિયા જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો કરે છે. આથી જમીનને ખેડવાની જરૂર રહેતી નથી તેમજ છોડના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી અનેક પોષક તત્વો અને હોર્મોન્સનું પ્રદાન કરે છે. આમ અળસિયા ખેડૂતોના સાચા મિત્ર છે.
આપણે લાંબા સમય સુધી રાસાયણિક ખેતી કરતા રહીશું તો આવનારી પેઢીઓને બંજર જમીન મળશે. અમુક સમય પછી આ જમીનમાં કંઈ પણ ઉત્પન્ન થશે નહીં. જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ પણ બચશે નહીં. આથી દરેક ખેડૂત મિત્રોએ જમીનને બંજર થતી અટકાવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી જોઈએ.