પાટડીમાં રૂ. 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતા નગરજનોમાં ખુશીની લહેર
પાટડીમાં રૂ. 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતા નગરજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ યોજનામાં પાટડી ગામ તળાવની ફરતે ખોડિયાર માતાના મંદિરથી સાંઇબાબાના મંદિર સુધી 12 મીટર પહોળો અને 4 મીટર ઊંચો પાળો બનશે અને તળાવની પાળ ફરતે 2 મીટર પહોળો પેવર બ્લોકનો ચાલવા માટેનો રસ્તો બનશે અને તળાવની ફરતે સ્ટ્રીટ લાઇટની સાથે ઝળહળતી રોશની વચ્ચે પાટડીમાં નયનરમ્ય રીવર ફ્રન્ટ બનશે. જેમાં કુલ ત્રણ ફેઝમાંથી પ્રથમ ફેઝમા રૂ. 6.14 કરોડ મંજૂર કરાયા છે.
પાટડી ગામના મધ્યે પાલિકા હસ્તકનું ઐતિહાસીક ગામ તળાવ અને વિરમગામ રોડ પર સિંચાઇ ખાતા હસ્તકનું વિશાળ રણાસર તળાવ આવેલું છે. પરંતુ પાટડી નગરમાં પ્રવેશતા શાન સમા આ બન્ને તળાવો પાટડી નગરની શોભા વધારી રહ્યાં છે. એમાય પાટડી ગામ તળાવના કિનારે આવેલા ઐતિહાસિક શક્તિમાતાના મંદિરે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શન કરવા આવે છે. તળાવ કિનારે જ શક્તિમાતાએ રાજકુંવરોને ઝીલીને બચાવ્યા હતા એ ઐતિહાસીક ઝરૂખો પણ હવા સાથે વાતો કરતો તળાવ કિનારે દ્રશ્યમાન થાય છે. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા ગાંધીનગર સરકારમાં રજૂઆત કર્યા બાદ અંતે પાટડીમાં રૂ. 21 કરોડના ખર્ચે 385 એકરમાં ફેલાયેલા આ ઐતિહાસિક ગામ તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
આ યોજનામાં પાટડી ગામ તળાવની ફરતે ખોડિયાર માતાના મંદિરથી સાંઇબાબાના મંદિર સુધી 12 મીટર પહોળો અને 4 મીટર ઊંચો પાળો બનશે અને તળાવની પાળ ફરતે 2 મીટર પહોળો પેવર બ્લોકનો ચાલવા માટેનો રસ્તો બનશે અને તળાવની ફરતે સ્ટ્રીટ લાઇટની સાથે ઝળહળતી રોશની વચ્ચે પાટડીમાં નયનરમ્ય રીવર ફ્રન્ટ બનશે. તળાવની પાળ ઉપર પથ્થરનું પીચીંગનું કામ કરવામાં આવશે.
વધુમાં તળાવ કિનારે આવેલી જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે અદ્યતન બગીચો બનાવવામાં આવશે. જેમાં પેવર બ્લોકનું પાર્કિંગ, બે શૌચાલય, વૃક્ષો અને લોન ઉગાડવાનું, સર્કલ અને ફુવારો બનાવવાનું તેમજ બાળકો માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવશે. તળાવની પાળ ફરતે અને બગીચામાં સ્ટ્રીટ લાઇટથી નયનરમ્ય નજારો ઊભો કરવામાં આવશે. જેનાથી પાટડી નગરજનો અને શક્તિમાતાના મંદિરે આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે આ રમણીય નજારો આજીવન સંભારણું બની રહેશે.
પાટડી નગરપાલિકા પૂર્વપ્રમુખ મૌલેશ પરીખે જણાવ્યું હતું કે, પાટડીમાં રૂ. 21 કરોડના રીવરફ્રન્ટના પ્રોજેક્ટમાં પ્રથમ ફેઝમાં 2 કિ.મી.ના રીવર ફ્રન્ટ માટે રૂ. 6.14 કરોડ મંજૂર કરાયા છે. વધુમાં પાટડીમાં સુએજ પ્લાન્ટ યોજના દ્વારા ગંદા પાણીને શુધ્ધ કરીને પાટડીનું આ ઐતિહાસિક ગામ તળાવ ભરવામાં આવશે. જેથી તળાવ બારેમાસ ભરાયેલું રહેશે અને આ તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાથી પાટડી નગરજનો માટે આ ફરવાલાયક આહલદાયક સ્થળ બની રહેશે.
એમણે વધુ વિગત આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પાટડી નગરની અંદર 385 એકરમા છવાયેલું મોટું પાટડી નગરપાલિકાની માલિકીનું તળાવ છે. તેનો ઘેરાવો ચાર કિમીનો છે. ગુજરાત સરકાર પાસે અમે અહીં રિવરફ્રન્ટ બનાવવા માટેનો રૂ. 20થી 21 કરોડનો એક આખો પ્રોજેક્ટ મુક્યો હતો. એમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફેઝ-1મા રૂ. 6.14 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી છે. જેમાંથી 1600 મીટર સુધી જે ગામને લગત છે. એવા એરિયાની અંદર સાઈબાબાના મંદિરથી લઈ કડવા પાટીદાર હોલ થઇ શક્તિમાતાના મંદિર ખોડિયાર માતાના મંદિર સુધી 1600 મીટરમાં પારો બનશે. એમાં પથ્થર પેચિંગ થશે એની ઉપર ગ્રીલ આવશે તેમજ બ્લોકથી એની ફૂટપાથ બનશે. એમાં વચ્ચે ઝાડવાઓ રોપવામાં આવશે. વચ્ચે સ્ટ્રીટ લાઈટો આવશે અને દરેક લોકોને ફરવા લાયક અને સારુ સ્થળ બનશે. જેનાથી ગામ તળાવ પણ ખુબ ઊંડું થયું છે. જેનાથી તળાવમાં પાણીનો ભરાવો રહેશે. જેનાથી ખેડૂતો, ગ્રામજનો અને પશુઓને પણ આનો અનેક ઘણો લાભ મળશે. આ પ્રોજેક્ટમા પ્રથમ ફેઝમા રૂ. 6.14 કરોડ આપણા મંજૂર થયા છે. બીજા અને ત્રીજા ફેઝમા મળીને કુલ રૂ. 21 કરોડ ખર્ચ થશે. અને એનો પ્રથમ ફેઝ આવનારા છ મહિનાની અંદર પૂર્ણ થશે.
આ અંગે પાટડી નગરપાલિકાના ઉપપ્રમુખ હિતેષભાઇ રાવલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમા નવા ઘાટમાં દલિત વાસ અને માતાના આરે એ બંને જૂના ઘાટને રીનોવેશન કરી સારા ઘાટ બનાવીશું અને ત્યાં આગળ કપડાં ધોવાની અને લોકોને નહાવાની જે સુવિધા છે, એ પણ આવશે અને સાથે પશુઓને પણ તળાવમાંથી પાણીની સુવિધા મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ રિવરફ્રન્ટ બનતા પાટડીમા એક સારામાં સારુ ફરવા લાયક સ્થળ કે જે અત્યારે પાટડીમા કોઈ જગ્યાએ છે નહીં. ચારેબાજુ રિવરફ્રન્ટ બનશે. એમાંય એક ફેઝ બનતા હજી લોકોને વધુ ખ્યાલ નહીં આવે પણ જ્યારે બીજા ત્રણેય ફેઝ પુરા થશે ત્યારે પાટડી માટે ભવિષ્યમા એક અનોખું નજરાણું સાથે ફરવાલાયક સ્થળ બનશે.
જ્યારે આ અંગે પાટડી નગરપાલિકાના મહિલા કારોબારી ચેરમેન ગીતાબેન ભરતભાઈ વરસાણીએ ગર્વભેર જણાવ્યું હતું કે, આ રિવરફ્રન્ટ બનતા અમારે બહેનોને ખુબ જ ફાયદો થશે. કેમ કે, અત્યારે અમારે બહેનોને પાટડીમાં કયાંય કોઈ જગ્યાએ ફરવાલાયક સ્થળ હતું જ નહીં. જયારે આ રિવરફ્રન્ટ બનીને તૈયાર થશે ત્યારે અમારે બહેનોને એટલો બધો ઉત્સાહ હશે કે, ત્યારે બાળકો સહિત સમગ્ર પરિવારજનો માટે સુંદર નયનરમ્ય સ્થળ બની રહેશે. અને પાટડી ગામના જ નહીં પરંતુ બહારગામનો લોકો માટે પણ આ રિવરફ્રન્ટ આકર્ષણનું અનોખું કેન્દ્ર બની રહશે.
જ્યારે આ અંગે વધુ વિગત આપતા પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે, આ રિવરફ્રન્ટ બનવાથી શક્તિમાતા મંદિર, જૂની નગરપાલિકા અને કડવા પાટીદાર હોલ વચ્ચે ગુજરાત સરકારે વધારાના રૂ. 30 લાખ ફક્ત ગાર્ડન બનાવવા માટે ફાળવ્યા છે. જેનાથી અહીં સુંદર મજાનો બગીચો બનશે. જેનાથી લોકો અહીં આવીને ફરી શકે.
વધુ વિગત આપતા એમણે જણાવ્યું હતું કે, પાટડીના ઐતિહાસિક શક્તિમાતાના મંદિર માટે શક્તિમાતા મંદિરની બીજી તરફ જે ખઈ વિસ્તાર તરીકે ઓળખાય છે. ત્યા પણ એક આગવી ઓળખનો પ્રોજેક્ટ ચાલુ છે. જેના માટે રૂ. 2 કરોડને 64 લાખના ખર્ચે ત્યા પણ બગીચાની સાથે બાળકોને રમવા માટેની સુંદર વ્યવસ્થા, પ્રોટક્શન દિવાલ, સર્કલ અને ફાઉન્ટેન અને એ સાથે ઘણી સુવિધાઓ ત્યા આગળ ઉપલબ્ધ થશે. અને વધુમાં દરબારી ચોકથી લઈ છેક કલાડાના દરવાજા સુધી જે ગામમાં ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં પણ રૂ. એક કરોડના ખર્ચે ડિવાઈડરવાળો રોડ બનાવવામા આવ્યો છે. એમાં 80 % કામ પૂર્ણ પણ થઇ ચૂક્યું છે. અને બાકીનું 20 % કામ પૂર્ણ થતાં લોકોને બહાર હાઈવેથી સીધું શક્તિમાતાના મંદિર સુધી આવી શકશે. એમાં શક્તિમાતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અધ્યતન સુવિધાઓનો લાભ લઈ શકશે.