જિલ્લામાં શ્વેતક્રાંતિ સર્જનાર સુરસાગર ડેરીની ચૂંટણીમાં
ભારતીય જનતા પાર્ટીના મેંન્ડેટ આધારીત ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંઘના 13 જેટલા ડિરેક્ટરોની ચૂંટણીની તારીખ જાહેર થતા દુધના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. ત્યારે વઢવાણના નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધુળાને ચૂંટણી અધિકારી તરીકે નિમાયા છે. આથી ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો..જેમાં 13 ડિરેક્ટરો પૈકી 1 એસસી અનામત બે મહિલા અનામત બેઠકો છે. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દુધઉત્પાદક સંઘની 2024-25થી 2028-29 વર્ષના નિયામક મંડળની ચૂંટણીની અનુસુચિ પ્રસિધ્ધ કરાઇ હતી. જેમાં તા.9-7-2024થી 11-7-2024 સુધી વઢવાણ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવાનુ હતું.
આ તકે સુરેન્દ્રનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ. સુરસાગર ડેરી ડિરેક્ટરોની ચુંટણી અનુસંધાને જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, તેમજ ધારાસભ્યો કિરીટસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા, પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા તથા જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલીયા તેમજ સહકારી આગેવાન મંગળસિંહ પરમાર તેમજ વિવિધ આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના મેંન્ડેટ આધારીત ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
જ્યારે તા.૨૯ જુલાઈ-૨૦૨૪ ને સોમવારના રોજ મતદાન સુરસાગર ડેરી વઢવાણ ખાતે રહેશે જ્યારે તા.૩૦ જુલાઈ-૨૦૨૪ને મંગળવારના રોજ સુરસાગર ડેરી ખાતે મતગણતરી થનાર છે. ત્યારે સહકારી સંસ્થા પર કબજો જમાવવા એડીચોટીનું જોર લગાવાયુ છે.