સુરેન્દ્રનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

0
સુરેન્દ્રનગર ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
સંકલન ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા કેનાલ પાણી લિકેજના પ્રશ્ન બાબતે અને આયુર્વેદ હોસ્પિટલ બાબતે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ આગામી યોજાનાર રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર મહા અભિયાનમાં મહત્તમ લોકો સહભાગી બને તેવો પ્રયાસ કરવા અને સંકલનના તમામ અધિકારીઓને યોગ અને પ્રાણાયામ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેકટરએ આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી.
સંકલન ભાગ-૨ની બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીએ સરકારી લેણાઓની બાકી વસૂલાત, ધારાસભ્યશ્રી સહિતનાં જનપ્રતિનિધિઓની અરજીઓ/પ્રશ્નો, કચેરીઓમાં થતી આર.ટી.આઈ, એ.જી.ઓડિટનાં બાકી પારા, નિવૃત થતા કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનાં નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અભિયાન અન્વયે થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર એમ.પી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top