ગાંધીનગર, ૫ જૂન: ગુજરાતમાં જાહેર પરિવહનની ઉત્તમ સુવિધાઓ આજે છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે, જેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાને જાય છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે મુસાફરોની સુવિધાઓમાં નિરંતર વધારો કરી રહી છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક્સ્ટ્રા બસોની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો ૧ મે થી ૩૧ મે, ૨૦૨૫ ના સમયગાળામાં ૮ લાખથી પણ વધુ મુસાફરોએ સફળતાપૂર્વક લાભ લીધો છે.
૮ લાખથી વધુ મુસાફરોએ લીધો લાભ, વાર્ષિક ૨.૩૮ લાખનો વધારો
GSRTC દ્વારા ૧ મે થી ૩૧ મે, ૨૦૨૫ દરમિયાન કુલ ૨૭૮૦ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ ૧૬,૪૩૮ વધારાની ટ્રિપ કરી હતી, જેનાથી કુલ ૮.૨૨ લાખ લોકોએ મુસાફરીનો લાભ લીધો હતો. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં આ જ સમયગાળા દરમિયાન ૧૯૮૮ એક્સ્ટ્રા બસો દ્વારા ૧૧,૬૭૪ ટ્રિપ કરવામાં આવી હતી અને ૫.૮૪ લાખ લોકોએ મુસાફરી કરી હતી. આમ, ઉનાળુ વેકેશનમાં એસ.ટી. નિગમ દ્વારા કાર્યરત એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વાર્ષિક ૨.૩૮ લાખનો નોંધપાત્ર વધારો થયો છે.
મુખ્ય શહેરોને જોડતી ૧૪૦૦ થી વધુ દૈનિક એક્સ્ટ્રા એક્સપ્રેસ બસો
ઉનાળા વેકેશન દરમિયાન મુસાફરોની સુવિધા માટે GSRTC દ્વારા રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦ થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રિપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેકેશનના સમયગાળામાં ગુજરાતમાંથી પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ પ્રવાસીઓને મળ્યો હતો.
ધાર્મિક અને આંતરરાજ્ય પ્રવાસ માટે વિશેષ ટ્રિપનું આયોજન
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના દર્શને જઈ શકે તે માટે અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રિપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રિપનું આયોજન થયું હતું. પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રિપ તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રિપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રિપનું આયોજન કરાયું હતું.
GSRTC ને ₹૩.૭૮ કરોડની આવક
આ સમગ્ર આયોજન દરમિયાન GSRTC ને કુલ ₹૩.૭૮ કરોડની આવક થઈ છે. ૧ મે થી ૩૧ મે, ૨૦૨૫ દરમિયાન ૧૬,૪૩૮ બસ ટ્રિપ દ્વારા કુલ ૧૫.૬૧ લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં મે મહિનામાં ૧૧,૬૭૪ ટ્રિપ દ્વારા ₹૨.૯૪ કરોડની કમાણી થઈ હતી. આ આંકડા કાર્યક્ષમ નેતૃત્વ અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આપવા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.(Gujarat information)