ગાંધીનગર: વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ના શુભ અવસરે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરાવ્યો. તેમણે ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન અંતર્ગત સિંદૂરના ૨૦૦ રોપાઓ સહિત કુલ ૪ હજાર રોપાઓના 'માતૃવન વનકવચ' નિર્માણનો વૃક્ષારોપણ દ્વારા શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વન-પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વન વિભાગના સહયોગથી, સમગ્ર સચિવાલય પરિસરમાં કુલ ૧૬ હજાર જેટલા વૃક્ષો સાથેનું વિશાળ 'માતૃવન વન કવચ' બનાવવામાં આવશે, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અહીં નોંધનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ ના વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને 'એક પેડ માં કે નામ' અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને 'ધરતી માતા' ને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે ગુજરાતે ૧૭.૪૮ કરોડ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવી પર્યાવરણ જતનમાં તેની અગ્રેસરતા પુરવાર કરી છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યમાં આવનારા પર્યાવરણના પડકારોના નિવારણ માટે પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસનું આગવું વિઝન પ્રસ્તુત કર્યું છે અને તેને ધરાતલ પર ઉતારવાના સંકલ્પો સાથે દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનમાં જોડ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વેપાર-ઉદ્યોગોને પર્યાવરણ સાથે સાંકળીને વડાપ્રધાનશ્રીએ આપેલા પર્યાવરણ સંચય અને પ્રકૃતિરક્ષાના વિચારને અનુસરવાનો અનુરોધ પણ કર્યો હતો. આ પહેલ ગુજરાતને હરિયાળું અને સ્વચ્છ બનાવવાની દિશામાં એક મોટો ફાળો આપશે.