સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરને ભોગાવા નદી પર આવેલા બે પુલને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.! લગભગ સો વર્ષ પહેલાં વઢવાણ રાજ્યના મહારાણી દ્વારા બનાવવામાં આવેલો ઐતિહાસિક પુલ જર્જરિત જાહેર કરીને બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે બાજુમાં આવેલા નવા પુલ પર વાહનચાલકો, રાહદારીઓ અને પશુપાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, અંગ્રેજ સમયમાં બનેલો આ જૂનો પુલ અત્યંત મજબૂત છે અને તેના રોડ પર એક પણ ખાડો કે ખરબચડો નથી રાજાશાહીમાં બનેલા આ મજબૂત પુલને "જર્જરિત" ના ઓઠા હેઠળ રિપેરિંગ કરવાને બદલે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જૂના પુલની બંને સાઈડ દીવાલો ચણી લેવામાં આવી છે, જેથી તેના પરથી કોઈ પસાર ન થઈ શકે. આ નિર્ણયને કારણે રાહદારીઓ અને પશુપાલકોને પોતાના માલઢોર લઈને નવા પુલ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેનાથી નવા પુલ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.!
શહેરીજનો દ્વારા તંત્ર સમક્ષ એવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે, જૂના પુલની બંને સાઇડની ડ્રીલ (દિવાલો) હટાવીને પુલને ફરીથી શરૂ કરવામાં આવે. જોકે, ભારે વાહનોને તેના પર પ્રતિબંધ મુકીને રાહદારીઓ અને પશુપાલકો માટે તેને ચાલુ કરવામાં આવે, જેથી નવા પુલ પરનું ભારણ ઓછું થાય અને લોકોની સુવિધામાં વધારો થાય. રાજાશાહીના સમયનો આ પુલ લોકશાહીમાં પણ તેની મજબૂતી સાબિત કરે, તેવી લાગણી શહેરના લોકો વ્યક્ત કરી રહ્યા છે.