સુરેન્દ્રનગર પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમવાર રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેણે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જગાવ્યો હતો.
ટુર્નામેન્ટના અંતિમ દિવસે બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મેચ યોજાઈ હતી. પ્રથમ સેમિફાઇનલ બાલાજી ઇલેવન અને જીત ઇલેવન વચ્ચે રમાઈ હતી, જેમાં જીત ઇલેવન વિજેતા બનીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી સેમિફાઇનલ વાસુકી અને અંબિકા ઇલેવન વચ્ચે યોજાઈ હતી, જેમાં વાસુકી વિજેતા બની હતી.ફાઇનલ મેચ જીત ઇલેવન અને વાસુકી ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં વાસુકી ઇલેવને પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 103 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં જીત ઇલેવન 10 ઓવરમાં માત્ર 54 રન જ બનાવી શકી હતી. આ રીતે વાસુકી ઇલેવને શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટનું ચેમ્પિયનપદ હાંસલ કર્યું હતું.
આ ફાઇનલ મેચમાં સમાજનો અને ખેલાડીઓનો જુસ્સો વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને ઇનામ વિતરણ સમારોહમાં વાસુકી ઇલેવનને ટ્રોફી અને રૂ. 51,000 રોકડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રનર-અપ જીત ઇલેવનને ટ્રોફી અને રૂ. 21,000 રોકડા પુરસ્કાર તરીકે એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર સહિતના વ્યક્તિગત ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
આ સફળ ટુર્નામેન્ટના આયોજન માટે ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઈ બકોટીયા અને મંત્રી મેહુલભાઈ સતાપરાની આગેવાની હેઠળની ટુર્નામેન્ટ કમિટીના ભાવેશ પ્રજાપતિ, જયદીપ પ્રજાપતિ, આશીષ ભલગામા, કિશન કુકડિયા, વિજય કોશિયા, પ્રકાશભાઈ કોરડિયા તથા તમામ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને ફાઉન્ડેશનના સભ્યોએ સઘન જહેમત ઉઠાવી હતી. આયોજકોના પ્રયાસોને કારણે આ ટુર્નામેન્ટ સુરેન્દ્રનગરના ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની રહી હતી.