સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યાની સૂચના હેઠળ અને ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલાની ટીમે અમદાવાદના નારોલ અને અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ત્રણ સીએનજી રીક્ષા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.
ધ્રાંગધ્રા સિટી પોલીસના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન, પી.કોન્સ સરફરાજભાઈ અનવરભાઈ, પો.કોન્સ નવઘણભાઈ ખીટ અને પો.કોન્સ સંજયભાઈ મુંધવાને ખાનગી બાતમી મળી હતી કે ધ્રાંગધ્રાના મથુરનગર ખાતે ત્રણ ઈસમો ચોરીની રીક્ષા સાથે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રોહિતભાઈ જામાભાઈ સરૈયા (ઉ.વ. ૨૫, રહે. નારોલ, અમદાવાદ), જયદીપભાઈ દેવાભાઈ વરુ (ઉ.વ. ૨૧, રહે. હળવદ) અને વિષ્ણુભાઈ જાલાભાઈ સરૈયા (ઉ.વ. ૨૫, રહે. હળવદ) ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની પૂછપરછ અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે કબજે કરાયેલી ત્રણેય રીક્ષાઓ અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હતી. પોલીસે રૂ.૫ લાખની કિંમતની ત્રણ સીએનજી રીક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.કે. વાઘેલા, પો.હેડ.કોન્સ ડી.એન. પરમાર, પો.કોન્સ અજયભાઈ ખાંભલા, પો.કોન્સ નવઘણભાઈ ખીંટ, પો.કોન્સ સરફરાજભાઈ મલેક, પો.કોન્સ સંજયભાઈ મુંધવા, પો.કોન્સ મૂળરાજસિંહ સોલંકી અને પો.કોન્સ ફિનાબેન પરમાર સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.