થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન પ્રવૃત્તિઓ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા, એચ.ટી. મકવાણાએ જામવાળી ગામના રહેવાસી રણુભાઈ દાનાભાઈ અલગોતર અને વિજયભાઈ રણુભાઈ અલગોતરને ભાગેડુ જાહેર કર્યા છે. તેમને આગામી ૩૦ દિવસમાં એટલે કે, ૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ હાજર નહીં થાય તો તેમની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રણુભાઈ દાનાભાઈ અલગોતર અને વિજયભાઈ રણુભાઈ અલગોતર દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે ખાનગી તેમજ સરકારી સર્વે નંબરવાળી જમીનોમાં મોટા પાયે કાર્બોસેલ, સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ગેરકાયદેસર ખનન, વહન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ખનિજચોરીથી જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પ્રથમ સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોવા છતાં ઉક્ત ઇસમોએ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી હતી. જેને પગલે તેમને હાજર કરવા માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જોકે, થાનગઢના પોલીસ ઇન્સ્પેક્ટરના અહેવાલ મુજબ આ બંને ઇસમો ફરાર થઈ ગયા છે અથવા છુપાઈને ફરી રહ્યા છે, જેના કારણે વોરંટની અમલવારી થઈ શકી નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા, એચ.ટી. મકવાણા (જી.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૮૪ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને બંને ઇસમોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. તેમને નિર્ધારિત સમયમર્યાદામાં હાજર થવા તાકીદ કરવામાં આવી છે. જો તેઓ આ સમયગાળામાં હાજર નહીં થાય, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫ મુજબ તેમની મિલકત જપ્ત કરવા માટે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કડક પગલાં ખનિજચોરી કરતા તત્વો સામે દાખલો બેસાડશે તેવી અપેક્ષા છે.