સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોજે. થાનગઢના સરકારી સર્વે નંબર ૫૭/૨ વાળી જમીન પર જાહેર રસ્તા ઉપર ચાલતા ગેરકાયદેસર કતલખાના (દુકાનો) અને માસ-મટનના વેચાણ પર નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણા (GAS) દ્વારા ૫ જૂન, ૨૦૨૫ના રોજ તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો શરતી હુકમ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૫૨ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લેવાયો છે.
આ કતલખાનાઓમાં નિયમ વિરુદ્ધ માસ-મટનનું વેચાણ, મરઘી અને માછલીના કતલ દરમિયાન યોગ્ય સફાઈનો અભાવ, કચરાના નિકાલની અયોગ્ય વ્યવસ્થા, ભયંકર દુર્ગંધ અને મરઘી-માછલીના અવશેષો ખુલ્લા મેદાનમાં ફેંકવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળી હતી. જેના કારણે આસપાસના રહેવાસીઓ, નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.
લોકોને પડતી મુખ્ય મુશ્કેલીઓ:
* ભયંકર દુર્ગંધ: કતલ દરમિયાન થતી ખરાબ ગંધ આસપાસના રહેણાંક વિસ્તારોમાં સતત ફેલાતી હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ઘરોની બારી-બારણાં બંધ રાખવાની ફરજ પડતી હતી.
* ગંદકી અને રક્ત: કતલ બાદ નિકાલ ન કરાયેલ રક્ત તથા અવશેષોથી રસ્તાઓ પર ગંદકી ફેલાતી હતી, જેના કારણે માખીઓ-જંતુઓની સમસ્યા વધી હતી અને આરોગ્યના જોખમ ઊભા થયા હતા.
* જળ પ્રદૂષણ: રક્ત અથવા પશુઅવશેષ સાથેનું પાણી આસપાસના ખાલી પ્લોટ કે ખાડામાં સરકી જતું હતું, જેના કારણે પાણીના સ્ત્રોત પણ પ્રદૂષિત થતા હતા.
* રોગચાળો ફેલાવાની શક્યતા: આવું વાતાવરણ મચ્છર, જીવાત અને બેક્ટેરિયા માટે અનુકૂળ હોવાથી ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ચર્મરોગ જેવા રોગચાળાઓ ફેલાવાની શક્યતા હતી.
* માનસિક અસ્વસ્થતા: મોટા પ્રમાણમાં ખુલ્લા સ્થળોએ પશુના અવશેષો અને રક્ત જોવા મળતા નાના બાળકો અને મહિલાઓમાં માનસિક અસ્વસ્થતા ઊભી થતી હતી.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓના નામોમાં સલીમભાઇ સફુરભાઇ, રજાકભાઇ સફુરભાઇ, હુસેનભાઇ અબુભાઇ, ઝાવેદભાઇ અબુભાઇ, કાદરભાઇ અને સફુરભાઇ આદમભાઇ મેમાણા (તમામ રહે. થાનગઢ) નો સમાવેશ થાય છે. વધુમાં, જો સરકારી જમીનમાં દબાણ જણાય તો તે દૂર કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે મામલતદારશ્રી થાનગઢને પણ સૂચના આપવામાં આવી હોવાનું ચોટીલા સબ ડિવિઝનના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા (GAS) ની એક અખબારી યાદીમાં જણાવાયું છે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.