સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં છેલ્લા છ દિવસથી પાણી ન મળવાના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેતા અહીંના રહીશોમાં મહાનગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.! ત્યારે રોડ પર એકઠા થયેલા સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે.
શહેરના આ મહત્વના વિસ્તારમાં અચાનક પાણી પુરવઠો ખોરવાઈ જતાં દૈનિક કાર્યો પર ગંભીર અસર પડી છે. પીવા, રસોઈ અને અન્ય ઘર વપરાશ માટે પાણી ન મળતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેના કારણે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્રને ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે. ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં તાત્કાલિક પાણી પુરવઠો પૂર્વવત કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવા સ્થાનિકોની માંગ છે.