દેશના નાનામાં નાના અને છેવાડાના માણસને જીવનજરૂરિયાતની તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃતવ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત દેશનાં વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા – નિર્દેશ તળે 'જ્યાં નાગરિક ત્યાં સુવિધા'નાં મંત્રને ચરિતાર્થ કરવા રાજ્યસરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના વિકાસ માટે શહેરીજનથી લઈ છેવાડાના માનવી માટેની રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. વંચિતોને પણ વિકાસની અગ્રીમ હરોળમાં લાવી શકાય તે માટે કોલધા, કાથોડી, કોટવાળીયા, પઢાર તેમજ સિદ્દી જેવી આદિમજૂથની જાતિઓના લાભાર્થે ખૂટતી સુવિધાઓ પૂરી કરવા માટે ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન’ હેઠળ લીંબડી તાલુકાના રાણાગઢ, નાની કઠેચી, રળોલ, પરનાળા, પરાલી, જસમતપર, આણંદપર સહીત કુલ આઠ ગામોના કે જ્યાં આ આદીજાતિના લોકો વસવાટ કરે છે ત્યાં મહાઅભિયાન હેઠળ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પી.એમ.જનમન કાર્યક્રમ અન્વયે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોના આધારકાર્ડ જેવા મહત્વના ઓળખના પુરાવાઓ ઘર આંગણે કાઢી આપી મહત્વનો ફાળો ભજવી પોતાની જવાબદારી નિભાવી હતી.
સૌપ્રથમ આ ગામના આંગણવાડી વર્કર, હેલ્પર અને આઇસીડીએસ સ્ટાફ દ્વારા આંગણવાડીમાં આવરી લીધેલા લાભાર્થી બાળકોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં ૪૧૩ બાળકો આધારકાર્ડ ધરાવતા ન હતા. આ તમામ બાળકોની ગૃહ મુલાકાત કરી આધારકાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જુના જન્મના દાખલા સુધારવા માટે વાલીઓને બાળકોના જન્મ સ્થળે મોકલી ત્યાંના તલાટી અને વીસીઈનો સંપર્ક કરી નવા જન્મના દાખલા કાઢવી આપવામાં આવ્યા હતા. તેમજ જે બાળકોના જન્મ લીંબડી હોસ્પિટલમાં થયો હોય તેવા તમામ બાળકોના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આઇસીડીએસ સ્ટાફ દ્વારા રૂબરૂ લીંબડી નગરપાલિકામાં જઈને મામલતદારશ્રીના સહયોગથી બાળકોના જન્મના દાખલામાં સુધારાઓ કરાવ્યા હતા. આ ઉપરાંત નવા જન્મના દાખલા કઢાવવાની કામગીરી પણ સુપેરે કરી હતી.
નવા જન્મના દાખલા અને જૂના જન્મના દાખલાની સુધારણાની કામગીરી પૂર્ણ થયા બાદ આધારકાર્ડ કઢાવવાની કામગીરી ઝુંબેશરૂપે લેવામાં આવી હતી. જેમાં આ આઠ ગામોમાં આધાર કેમ્પનું આયોજન કરી આઇસીડીએસના વાહન દ્વારા તેમજ મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી વર્કરના વાહન દ્વારા જ્યાં આધારકાર્ડ કીટ કાર્યરત હતી ત્યાં જઈને આધાર કાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા.
આમ, પી.એમ.જનમન કાર્યક્રમ અન્વયે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોના આધારકાર્ડ જેવા મહત્વના ઓળખના પુરાવાઓ ઘર આંગણે કાઢી આપી મહત્વનો ફાળો ભજવી પોતાની જવાબદારી નિભાવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન લીંબડી તાલુકાના આઠ ગામોના આઈસીડીએસ શાખાના તમામ સ્ટાફ જેમાં આંગણવાડી વર્કર, હેલ્પર, મુખ્યસેવિકા, બાળવિકાસ યોજના અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ. ઘટક કચેરીના તમામ સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક આ કામગીરીમાં પોતાનું યોગદાન પૂરું પાડ્યું હતું.