પાંચાળ પરગણા રબારી સમાજે થાનગઢના ખાખરાથળ ખાતે પોતાના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરીને એક નવી પહેલ કરી છે. આ સમારોહમાં યુવા સમાજસેવક ભીમશીભાઈ રત્નાભાઈ સામડે પાંચ દીકરીઓનું મહાકન્યાદાન કરીને સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ભીમશીભાઈએ પિતાની જેમ આ પાંચેય દીકરીઓને સ્વીકારીને તેમના લગ્ન કરાવ્યા અને તેમને પ્રેમથી વિદાય આપી. તેમણે દરેક દીકરીને સોનાની નથડી, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો જેવી ભેટો આપી હતી. આ ઉપરાંત, કરિયાવરમાં તિજોરી સેટ, ઘરના વાસણો, ફ્રીજ, ટીપાઈ, બાજોઠ, પિત્તળનાં વાસણો, રજાઈ-ગાદલાં સેટ, ખુરશી, બેડરૂમ સેટ, રસોડા સેટ અને બાથરૂમ સેટ જેવી અનેક વસ્તુઓ અર્પણ કરી હતી.
આ સમગ્ર સમૂહ લગ્નોત્સવનું સફળ સંચાલન અને મુખ્ય દાતા તરીકેની જવાબદારી ભીમશીભાઈ રત્નાભાઈ સામડે નિઃસ્વાર્થ ભાવે નિભાવી હતી. તેમના આ ઉમદા યોગદાન અને સેવા ભાવનાને કારણે સમાજમાં એક સુંદર અને અનુકરણીય ઉદાહરણ સ્થાપિત થયું છે. પાંચાળ પરગણા રબારી સમાજનો આ પ્રથમ સમૂહ લગ્ન સમારોહ સામાજિક એકતા અને ભાઈચારાનું પ્રતિક બન્યો હતો.