સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ૧૧ માં લાંબા સમયથી પ્રતીક્ષિત રોડ રિસરફેસિંગની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. લાખુપોળથી વઢવાણ મેળાના મેદાન અવાડા સુધીના ડામર રોડને રીસર્ફેસિંગ કરીને નવો બનાવવામાં આવશે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળશે.
આ રોડ શહેરના એક મહત્વપૂર્ણ વિસ્તારને જોડે છે અને દૈનિક અવરજવર માટે ખુબ જ ઉપયોગી છે. છેલ્લા ઘણા સમયથી આ રોડની સ્થિતિ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાડા-ટેકરાવાળા રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ રહેતો હતો. સ્થાનિક રહીશો દ્વારા આ રોડના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ થતા જ સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
નવા ડામર રોડ બનવાથી અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ કામગીરી ટૂંકા સમયમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, જેથી નાગરિકોને સુવિધાયુક્ત રોડનો લાભ ઝડપથી મળી શકે. નગરપાલિકાના આ વિકાસ કાર્યને લોકો આવકારી રહ્યા છે.