સુરેન્દ્રનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ સુરેન્દ્રનગર જિલ્લા માટે અત્યંત પ્રોત્સાહક રહ્યું છે, જેમાં કુલ ૮૪૨૧ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને ડંકો વગાડ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ અનુસાર, સમગ્ર રાજ્યનું સરેરાશ પરિણામ ૯૫.૭૬% નોંધાયું છે. તેની સામે સુરેન્દ્રનગર જિલ્લાનુ ૯૩.૭% જેટલું ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. જિલ્લાના વિદ્યાર્થીઓએ રાજ્યના સરેરાશ પરિણામ કરતાં પણ વધુ સારું પરિણામ હાંસલ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લાના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે જિલ્લામાં કુલ ૮૮૧૦ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી ૮૭૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી પ્રભાવશાળી રીતે ૮૪૨૧ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.
જિલ્લાનું આ ઉચ્ચ પરિણામ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ જિલ્લાના શિક્ષણ જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.