લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી આધુનિક રોડ નેટવર્ક આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ-નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે વસ્તડી ગામે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસીંગરૂમ, લેબોરેટરી, મમતા કલીનીક, લેબરરૂમ, પ્રિઓપરેશન રૂમ, સ્ક્રબ રૂમ, ચેન્જ રૂમ, માઇનોર ઓપરેશન થિયેટર, પુરુષ અને સ્ત્રીઓનો અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ મુજબ અર્થપૂર્ણ જીવન જીવવા માટે તંદુરસ્ત શરીર એ સૌપ્રથમ પ્રાથમિકતા છે. ગામડાના લોકોને શહેરની સમકક્ષ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે તાલુકા અને જિલ્લા સ્તર પર ન જવું પડે અને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે. વસ્તડી અને આજુબાજુના ગામ લોકોની માંગણીને ધ્યાનમાં લઈને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર થકી લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે.
રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી આધુનિક રોડ નેટવર્ક આપવા પ્રતિબદ્ધ છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટકાઉ રોડ નેટવર્ક પૂરું પાડવામાં આવ્યું છે. રૂ.૩૫ કરોડના ખોલડિયાદ થી વસ્તડી સુધી ૧૦ કિ.મી.નો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયેશભાઈ ચાવડા, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભૂપતસિંહ ગોહિલ, વસ્તડી સરપંચ શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી.ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. દર્શનભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.