જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (શહેરી/ગ્રામીણ), સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ સહીત કુલ ૨૭૫ સ્થળોએ એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા
વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી, અસુરક્ષિત ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિઓના અભાવને કારણે હાય બ્લડપ્રેશરની સમસ્યા સતત વધી રહી છે. આ સ્વાસ્થ્ય સમસ્યા દરેક લોકોને અસર કરે છે. હાય બ્લડ પ્રેશરની જાગૃતિ અને નિવારણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૧૭મી મેના રોજ “વિશ્વ હાયપરટેન્શન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. હાય બીપીને “સાયલન્ટ કિલર“ પણ કહેવામાં આવે છે.
સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્થૂળતા ઘટાડવા માટે રાષ્ટ્રીય વ્યાપી જાગૃતિ કાર્યક્રમ પર ભાર મૂક્યો હતો. જેને અનુલક્ષીને રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા – નિર્દેશ હેઠળ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચાલી રહ્યું છે. તા. ૧૭ મે-૨૦૨૫ ના રોજ “વિશ્વ હાયપરટેન્શન દિવસ”ની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે.
કુલ ૬૦૨૬ વ્યક્તિઓની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ
આ અંગે વધુ વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહિલે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (શહેરી/ગ્રામીણ), સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ કુલ ૨૭૫ સ્થળો ખાતે એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં કુલ ૬૦૨૬ વ્યક્તિઓની બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ કરી બી.એમ.આઈ.ની તપાસ કરી સ્વસ્થ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા કાઉન્સેલીંગ કરવા સાથે વિનામુલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કુલ ૩૩૮ જેટલા હાઈ બી.પી.ના શંકાસ્પદ કેસો નોંધાયા હતા. આ કેમ્પ અન્વયે કુલ ૪૩૨ જેટલા હાયપરટેન્શન તથા ડાયાબિટીસની ચાલુ સારવાર મેળવતા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
હાલ જિલ્લાની વિવિધ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ ૬૨૦૯૩ જેટલા હાયપરટેન્શનના દર્દીઓની નેશનલ એન.સી.ડી.પોર્ટલમાં નોંધણી
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં હાલની સ્થિતીએ જિલ્લાની વિવિધ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ ૬૨૦૯૩ જેટલા હાયપરટેન્શનના દર્દીઓ નેશનલ એન.સી.ડી.પોર્ટલમાં નોંધણી થયેલા છે. જેઓને નિયમિત સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જ્યારે હાય બી.પી.ના નવા કેસો શોધવા માટે ૩૦ વર્ષથી વધુ વયના લોકોનું વધુમાં વધુ સ્ક્રીનિંગ કરવામા આવી રહ્યુ છે.
‘વિશ્વ હાયપરટેન્શન દિવસ’ ઉજવણીનાં ભાગરૂપે જિલ્લામાં આગામી એક માસ તા. ૧૭ મે થી તા. ૧૬ જુન સુધી સામુદાયિક સ્થળો તથા કાર્યસ્થળો જેમાં, જિલ્લાના વિવિધ એસ.ટી. મથકો, રેલ્વે સ્ટેશન, સરકારી કચેરીઓ, શહેરી અને ગ્રામીણ વિસ્તારોના રીમોટ પ્લેસ, ફેક્ટરીઓ, શાળાઓ ખાતે સ્ક્રીનીંગ, કેમ્પો, રેલીઓ, સાયક્લોથોન, નુક્ક્ડ નાટકો, પપેટ શો, ક્વિઝ કોમ્પીટીશન, પબ્લિક લેકચર, યોગા જેવી વિવિધ પ્રવૃતિઓ થકી જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
બોક્સ:- ૧
સમગ્ર વિશ્વમાં બદલાયેલ જીવનશૈલી આધારિત થતા બિન-ચેપી રોગોમાં હાયબ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શનએ વિશ્વભરમાં હૃદયના રોગો અને અકાળ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. ભારતમાં ૬૩% જેટલા મૃત્યુ બિન-ચેપી રોગોના કારણથી થાય છે. જેમાં સૌથી વધુ હૃદયરોગ સંબંધિત થતા મૃત્યુનું પ્રમાણ ૨૭% થી વધુ છે. GBD ICMR PHFI હેલ્થ મેટ્રીક અને ઈવેલ્યુએશન ઈન્સ્ટીટ્યુટના ૨૦૧૯ના અહેવાલ મુજબ, ગુજરાતમાં ૫૯.૮ % મૃત્યુ બિન-ચેપી રોગોના કારણથી થાય છે. જેમાં પણ હૃદયરોગ સંબંધિત થતા મૃત્યુનું પ્રમાણ ૩૩% જેટલુ છે. નેશનલ એન.સી.ડી. મોનીટરીંગ સર્વે ૨૦૧૮ અનુસાર, ભારતમાં હાયપરટેન્શનનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ૩૪% અને ગ્રામીણ વિસ્તારમાં ૨૫ % જેમાં પુરુષ -૩૦ ટકા અને સ્ત્રી-૨૭ ટકા છે. જ્યારે ગુજરાતમાં, આ પ્રમાણ શહેરી વિસ્તારમાં ૨૨% અને ગ્રામીણ વિસ્તારમાં ૧૩ % જેમાં પુરુષ -૧૩ ટકા અને સ્ત્રી-૧૨ ટકા જોવા મળે છે.
દેશના મોટા ભાગના લોકોને તેઓને હાયબ્લડ પ્રેશર હોઈ તો પણ તે સ્થિતિથી અજાણ હોય છે. હાયપરટેન્શન ધરાવતા લોકો ૨૮.૫ % પ્રિવેલન્સ દર મુજબ (૧૮ થી ૬૯ વર્ષ) સામે ફકત ૧૨ % લોકો જ તેઓનું બી.પી. કાબુમાં રાખે છે. અનિયંત્રિત બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના કારણે અનેકવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાય છે. જેના કારણે શરીરના વિવિધ અવયવો જેવા કે, હૃદય, મગજ, આંખો, કિડની, આર્ટરી નુકસાન પહોંચાડે છે અને ગંભીર આડઅસરો થાય છે. હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે, જેથી ૩૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિએ ૬ મહિને એક વાર પોતાના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ આરોગ્ય કેન્દ્રો ખાતે અચુક કરાવવી જોઈએ.
હાય બીપીના લક્ષણો....
માથાનો દુખાવો, ચક્કર આવવા, થાક અનુભવવો, આંખો સામે ઝાંખપ આવવી, છાતીમાં દુખાવો અથવા ચિંતા, શ્વાસ લેવામાં તકલીફ, ક્યારેક કોઈ લક્ષણો દેખાતા નથી, છતાં બ્લડ પ્રેશર ઊંચું હોય છે.
હાય બીપી થવાના કારણો....
ખોરાકમાં વધુ પડતા મીઠાનો, વધુ પડતા તળેલા, ફાસ્ટફૂડ, જંક ફૂડ ખાવાની આદતો, ચિંતા, તણાવ, સ્થૂળતા, વ્યાયમ / કસરતનો અભાવ તથા તમાકુ, દારૂ, ધુમ્રપાન જેવી કુટેવ અને વ્યસનો.
હાય બીપીથી બચવાના સરળ ઉપાયો....
ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવુ (દૈનિક ૫ ગ્રામથી ઓછું), દૈનિક કસરત/વ્યાયમ કરવુ, તાજા ફળો અને શાકભાજી ઉપયોગ કરવો, તણાવ ઓછો કરવો, ધ્યાન અથવા યોગ કરવા, તમાકુ, ધૂમ્રપાન અને દારૂની કુટેવ બંધ કરવી, દર ૬ માસે નિયમિતપણે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી. હાય બીપીના દર્દીઓએ નિયમીત ડોકટરી સલાહ મુજબ સમયસર દવાઓ લેવી.