ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણાએ સણોસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તા. ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ અચાનક મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં વહીવટી તંત્રની અનેક ગંભીર ક્ષતિઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નાયબ કલેકટરે તાત્કાલિક અસરથી તાલુકા હેલ્થ ઓફિસર અને સંબંધિત કર્મચારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન જણાયેલી મુખ્ય ક્ષતિઓમાં
- મેડીકલ ઓફિસરની ગેરહાજરી અને ચાર્જની અનિશ્ચિતતા: સવારે ૧૦:૨૫ કલાકે મેડીકલ ઓફિસર ફરજ પર હાજર ન હતા અને સ્ટાફને પૂછતાં જાણવા મળ્યું કે તેઓ રાજકોટ તાલીમમાં ગયા છે. પરંતુ તેમનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે તેની કોઈ માહિતી હાજર સ્ટાફ પાસે નહોતી.
- ફાર્માસિસ્ટની નિયમિત ગેરહાજરી: ફાર્માસિસ્ટ એમ.બી. ઝાલા સતત ગેરહાજર રહેતા હોવાનું અને મહિનામાં એકવાર આવીને તમામ હાજરી પૂરી જતા હોવાનું સામે આવ્યું છે.
- અન્ય સ્ટાફની મંજૂરી વગર ગેરહાજરી: શ્રીમતી એ.કે. પરમાર (FHS), મનસુખભાઈ પરમાર (સ્વીપર), અને શ્રીમતી કિરણબા રાણા (આયા) કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરહાજર જોવા મળ્યા હતા.
- ઓછા સ્ટાફની હાજરી: ઓપીડીનો સમય સવારે ૯:૦૦ થી ૧:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ નો હોવા છતાં, ૧૦:૩૦ કલાકે કુલ ૧૨ સ્ટાફમાંથી માત્ર ૪ જ કર્મચારીઓ હાજર હતા, એટલે કે ૮ કર્મચારીઓ ગેરહાજર હતા.
- જનરલ ઓપીડી રજીસ્ટરમાં ગેરરીતિ: જનરલ ઓપીડી રજીસ્ટરની તપાસમાં કુલ ૬૦ જેટલા દર્દીઓના નામમાં માત્ર લીટા દોરેલા હતા અથવા તો નામ વાંચી શકાય તેવા નહોતા. આ ઉપરાંત, એક પણ દર્દીનો મોબાઇલ નંબર નોંધાયેલો ન હતો અને તમામ દર્દીઓ સામે માત્ર એક જ કેસ નોંધાયેલો જોવા મળ્યો હતો. અન્ય કોઈ સારવાર કે કેસની નોંધણી રેકોર્ડ પર નહોતી.
- અન્ય રજીસ્ટરની જાળવણીનો અભાવ: કોલ્ડ ચેઇન રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર, ઇન્ડેન્ટ રજીસ્ટર અને રેફરલ રજીસ્ટર જેવા મહત્વપૂર્ણ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવ્યા ન હતા.
- બાયોમેટ્રિક હાજરીમાં ગેરરીતિ: બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ઉપલબ્ધ હોવા છતાં, માત્ર એક જ કર્મચારીએ થમ્બ આપીને હાજરી પૂરી હતી, જ્યારે અન્ય સ્ટાફે હાજરી નોંધાવી ન હતી.
- આવશ્યક દવાઓની યાદી અંગે અસ્પષ્ટતા: હોસ્પિટલમાં આવશ્યક દવાઓની યાદી ઉપલબ્ધ છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા જોવા મળી ન હતી.
- સ્વચ્છતાનો અભાવ: હોસ્પિટલની સ્વચ્છતા પ્રત્યે પણ કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું જણાયું હતું.
નાયબ કલેકટર મકવાણાએ આ તમામ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ પાઠવી છે અને આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર તાલુકામાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.!