જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે ભારતીય સેનાની બહાદુરીને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પણ વિવિધ વેપારી સંગઠનો દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે શાક માર્કેટ અને મુખ્ય બજારમાંથી પસાર થઈને ભલગામડા ચોક ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં લીંબડી શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, વિવિધ સાધુ-સંતો, જુદી જુદી સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વેપારીઓએ આ તિરંગા યાત્રામાં જોડાઈને દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સમર્થન વ્યક્ત કર્યું હતું. યાત્રામાં જોડાયેલા લોકોએ દેશની રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા અને ભારતીય સેનાના શૌર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સેના તેમજ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી.