ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સચિવએ ઝીણવટભરી માહિતી મેળવી
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને તા.૮ મે-૨૦૨૫ના રોજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિવે જિલ્લાના તમામ વિભાગોની કામગીરીની વિસ્તૃત માહિતી મેળવીને સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલે બેઠકમાં પ્રભારી સચિવને જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીથી વાકેફ કર્યા હતા. ખાસ કરીને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલી પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સચિવએ ઝીણવટભરી માહિતી મેળવી હતી.
વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા, આરોગ્ય વિભાગને મેડિકલ સ્ટાફ, દવાઓનો પૂરતો સ્ટોક, બ્લડ બેંક અને એમ્બ્યુલન્સની પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધતા, માર્ગ અને મકાન વિભાગને આપદા સમયે ડમ્પર, ટ્રક, જે.સી.બી. સહિતની અન્ય મશીનરીને ઉપયોગમાં આવી શકે તેવા તૈયાર રાખવા - પ્રભારી સચિવ રાકેશ શંકર
આ દરમિયાન, સચિવે પી.જી.વી.સી.એલ. વિભાગને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આરોગ્ય વિભાગને મેડિકલ સ્ટાફ, દવાઓનો પૂરતો સ્ટોક, બ્લડ બેંક અને એમ્બ્યુલન્સની પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. માર્ગ અને મકાન વિભાગને આપદા સમયે ઉપયોગમાં આવી શકે તેવા ડમ્પર, ટ્રક, જે.સી.બી. સહિતની અન્ય મશીનરીને તૈયાર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. વધુમાં, સચિવએ પુરવઠા વિભાગ સાથે અનાજના જથ્થાની ઉપલબ્ધતા અને પોલીસ વિભાગ સાથે લોકોની સલામતી અને સુરક્ષા સંબંધિત બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરે આપાતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમની સ્થાપના, શેલ્ટર હોમની વ્યવસ્થા અને સ્વયંસેવકોની યાદી તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે અગત્યના સંપર્ક નંબરોની યાદીને પણ અપડેટ રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત, દરેક તાલુકા કક્ષાએ આ સંદર્ભે બેઠક યોજીને વિસ્તૃત કામગીરી હાથ ધરવા માટે પણ તેમણે સૂચના આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.જાલંધરા સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.