સુરેન્દ્રનગર શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક એવા મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની ૪૮૫મી જન્મજયંતિ સુરેન્દ્રનગર શહેરમાં ભક્તિભાવ અને અનેરા ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. આ વિશેષ અવસરે, વઢવાણ ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને રાજવી પરિવારો એક મંચ પર આવી મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કર્યા હતા.
ઉજવણીની સાથે સાથે, સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની જોરદાર માંગ ઉઠી હતી. વઢવાણ રાજવી પરિવાર સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આ બાબતે સકારાત્મક નિર્ણય લઈ, શહેરમાં મહારાણા પ્રતાપની શોભાયમાન પ્રતિમા સ્થાપિત કરવા માટે હૃદયપૂર્વક વિનંતી કરી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રતિમા મહારાણા પ્રતાપની વીરતા, બલિદાન અને અદમ્ય ભાવનાની ગાથાને કાયમ જીવંત રાખશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્રોત બનશે.આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ મહારાણા પ્રતાપના જીવન અને કાર્યો પર પ્રકાશ ફેંકી, તેમના બલિદાનને યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શૌર્ય અને દેશભક્તિનો માહોલ છવાયો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ માંગણી પર ઝડપથી અને સકારાત્મક નિર્ણય લેવાય તેવી અપેક્ષા ક્ષત્રિય સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે ઝાલાવાડ ક્ષત્રીય સમાજ પ્રમુખ ડો.રૂદ્રદતસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ ઝાલા વઢવાણ સ્ટેટ, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, વિરભદ્રસિંહ જાડેજા સહિત ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. શ્રી ક્ષત્રિય યુવક સંઘના ઝાલાવાડ પ્રાંતના ઉપક્રમે મહારાણા પ્રતાપની ૪૮૫મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.