સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકકાયદે ખનિજ ખનન પ્રવૃત્તિઓ પર તંત્રએ વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. તા.૨૯/૦૫/૨૦૨૫ સાંજે 6 વાગ્યાના અરસામાં ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામમાં દરોડો પાડી 10 ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા શોધી કાઢવામાં આવ્યા હતા.
ત્યારે ટીમ દ્વારા વેલાળા (સા) ગામમાં ખાનગી માલિકીના સર્વે નંબર 29 (જૂનો સર્વે નંબર 77/2) વાળી જમીનમાં 1 કૂવો તેમજ આજુબાજુના વિસ્તારમાં વધુ 9 કૂવા મળી કુલ 10 ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા અસામાજિક તત્વો ટીમની ગાડી જોતા જ નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી તંત્રએ આશરે 13,00,000/- (તેર લાખ રૂપિયા) નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 150 ટન કાર્બોસેલ,200 નંગ ડીટોનેટર,850 મીટર પાઇપ,10 ચરખી,20 બકેટ,60 મીટર સેફ્ટી ફ્યુઝ, 225 નંગ સુપર પાવર 9.0 નાઈટિંગ વિસ્ફોટક,5 સબમર્સિબલ પંપ,1 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.ત્યારે આ તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી, થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે અને નિયમોનુસાર વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ખાનગી માલિકીના સર્વે નંબર 29 વાળી જમીનના કબજેદાર કાળુભાઈ દેવાભાઈ સહિત 65 ઈસમો અને વનરાજભાઈ ઉર્ફે વનાભાઈ નનકુભાઈ ધાંધલ (રહે. રામપરાડા, તા. મુળી, હાલ થાનગઢ) સામે પણ ગેરકાયદેસર ખનન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. માપણી બાદ જે રકમ વસૂલ કરવાની થશે તે "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017" ના નિયમ 21(3) મુજબ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.