સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યચીજના પેકેજીંગની બાબતોમાં યોગ્ય સ્ટાન્ડર્ડ ન જળવતા ઉત્પાદક પેઢીનાં માલિક અને વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ફૂડ લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોનું ઉલ્લંઘન કરી મહેતા માર્કેટમાં ખજુરનું વેચાણ કરતી વિક્રેતા પેઢીને તેમજ રાજકોટ સ્થિત ઉત્પાદક પેઢી સામેના કેસ બદલ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, સુરેન્દ્રનગર દ્વારા પેઢીમાંથી ખાદ્યચીજ ઉપહાર બ્રાન્ડ ખજુરના પેકિંગનો નમુનો લઈ પૃથ્થકરણ અર્થે કુડ એનાલીસ્ટ, રીજનલ ફૂડ લેબોરેટરી, ભુજ -કચ્છને મોકલી આપવામાં આવ્યો હતો.
જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ (લેબલીંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન –૨૦૨૦નાં રેગ્યુલેશન નંબર: ૫.૧૦(બ) મુજબ USE BY DATE/EXPIRY કંપની લેબલ ઉપર દર્શાવવું જરૂરી છે. જે સદર ખાદ્યચીજના કંપની લેબલ ઉપર દર્શાવેલું ન હતું. આથી ખાદ્યચીજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-૨૦૦૬ ની કલમ-૩(૧)(zf)(c)(i) અને કલમ ૨૩ (૧),(૨) મુજબ “મીસ બ્રાન્ડેડ ફૂડ” જાહેર કરી વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-૨૦૦૬ ની કલમ-૫૨ (૧) મુજબ “મીસ બ્રાન્ડેડ ફૂડ” માટે ઉત્પાદક પેઢીને રૂ.૧૦ હજાર અને વિક્રેતાને રૂ. પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.