ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદ ભુવન ખાતે વિકાસ કામોનાં લોકાર્પણ, ખાતમુહુર્ત, ઉદઘોષણા કાર્યક્રમમાં પધારનાર છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા તથા ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને રાખી તેમજ કોઈ આકસ્મિક બનાવો ન બને તે માટે તથા તમામ મહાનુભાવશ્રીની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ “ભારે વાહનો પર ડાયવર્ઝન" આપવા અંગેનું જાહેરનામું નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ કલાક સવારે ૦૬:૦૦ કલાકથી ૧૫:૦૦ કલાક સુધી સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે નીચે જણાવેલ રૂટો પર ભારે વાહનોનું ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
ચોટીલા બાજુથી આવતા ભારે વાહનો મુળી ત્રણ રસ્તાથી સાયલા બાજુ ડાયવર્ટ કરી સુરેન્દ્રનગર સીટી તરફ આવવા પર પ્રતિબંધ રહેશે. વિરમગામ-લખતર બાજુથી આવતા ભારે વાહનો ગેબનશા સર્કલથી લીંબડી તરફ ડાયવર્ટ કરી સુરેન્દ્રનગર સીટી તરફ આવવા પર પ્રતિબંધ રહેશે.ધ્રાંગધ્રા બાજુથી આવતા ભારે વાહનો વાયા વણા-લખતર બાજુ ડાયવર્ટ કરી સુરેન્દ્રનગર સીટી તરફ આવવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અન્વયે આપાતકાલિન તથા જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાંનાં ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાપાત્ર થશે.