સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૩૧ -મે - ૨૦૨૫ને શનિવારના રોજ સુરેન્દ્રનગર શહેર ખાતે સૌની યોજના હેઠળના કામોને લગતા કાર્યક્રમમાં હાજરી આપવા પધારવાના છે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને અનુલક્ષીને, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ, આનંદ-ભુવન ખાતેની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ સ્થળ મુલાકાત દરમિયાન, કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, મંચ વ્યવસ્થા, પાણી અને સ્વચ્છતા સહિતની તમામ બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને કોઈ કચાશ ન રહે તે માટે મહાનગરપાલિકાની ટીમ સક્રિયપણે કામ કરી રહી છે.