ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન જીવી શકે, તેવા ઉમદા આશયથી ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત રાજ્ય સરકારે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન યોજના અમલમાં મૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અભયમ્ યોજનાથી અનેક કિસ્સામાં મહિલાઓને માનસિક, શારીરિક અને સામાજિક સુરક્ષા મળી છે.ત્યારે જિલ્લામાં વધુ એક પીડિત પરણિતા માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે. પાંચ મહિના પ્રેગ્નેન્ટ પીડિતાને મરજી વિરુદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગીની વ્હારે ૧૮૧ અભયમ્ હેલ્પલાઇન આવી હતી.
'મારા દિકરાના વહુને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવવા માટે તેના પિયરવાળા હોસ્પિટલ લઈને ગયા છે તો તમારી મદદની જરૂર છે.' સુરેન્દ્રનગર લોકેશન સ્થિત ૧૮૧ ટીમનો ફોન રણક્યો અને સામેથી અવાજ આવ્યો. ગણતરીની મિનિટોમાં જ ૧૮૧ અભયમ હેલ્પલાઈન સુરેન્દ્રનગરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
૧૮૧ ટીમના કાઉન્સેલર શ્રી શીતલબેન સોલંકીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરિણીતાના ૬ માસ પૂર્વે પ્રેમલગ્ન થયા હતા. જેથી પીડિતાના પિયરપક્ષે પીડિતા સાથે કોઈપણ સંબંધો રાખ્યા ન હતા. તેમ છતાં પીડિતા પિયર જવા ઇચ્છતા હોવાથી ૧૫ દિવસથી પિયર ગયા હતા. પીડિતા પાંચ મહિનાથી પ્રેગ્નેન્ટ હોવાની પિયરપક્ષને જાણ થતા બળજબરીપૂર્વક ધમકાવીને પીડિતાની મરજી વિરુદ્ધ જઈને ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ લઈને ગયા હતા.
વધુમાં, બંને પતિ- પત્ની સાથે રહેવા ઈચ્છતા હોવા છતાં પિયરપક્ષથી સાસરે જવા દેતા ન હતા. છે. બંને પક્ષને સાંભળી તેમનું કાઉન્સેલિંગ કરી, યોગ્ય માર્ગદર્શન અને સલાહ સુચન આપીને ગર્ભપાત થતો અટકાવ્યો હતો.
ગર્ભપાત કરાવવો કે ગર્ભપરિક્ષણ કરાવવું એ PCPNDT ACT, 1994 અંતર્ગત ગંભીર ગુન્હો છે. જેની માહિતી અને કાયદાકીય સમજ ૧૮૧ ટીમના કાઉન્સેલર દ્વારા આપવામાં આવી હતી. જેથી યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા રાજીખુશીથી પિયરપક્ષ દીકરીને સાસરે મોકલવા તૈયાર થયા હતા અને હવે પછી આ ભૂલ ક્યારેય નહિ કરે તેવી ખાત્રી આપી હતી. આમ, બંને પક્ષોએ સુખદ સમાધાન થતા ૧૮૧ની ટીમનો ખૂબ ખૂબ હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષાના અભય વચન માટે હરહંમેશ કટિબદ્ધ છે, તે હેતુસર ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સુવિધા ૨૪x૭ કાર્યરત છે. જેની મદદથી અત્યાર સુધીમાં લાખો મહિલાઓના જીવન સરળ બન્યા છે.