કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ, મશરૂમની ખેતી, ઔષધીય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી જેવા વિષયો ઉપર માહિતી આપવામાં આવી
અમદાવાદ જિલ્લામાં 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા- 2025'ની શરૂઆત ધોળકા તાલુકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ, અમદાવાદથી કરવામાં આવી હતી. જયારે વિરમગામ તાલુકાના કુમારખાણ ગામ ખાતેથી કૃષિ રથ 2નો શુભારંભ થયો હતો.
ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ પ્રાકૃતિક કૃષિ અને જળ સંરક્ષણની પદ્ધતિઓ અને કૃષિના અદ્યતન સંશોધનો અપનાવવા સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને આહ્વાન કર્યું હતું. ધારાસભ્યશ્રીએ અમદાવાદ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ખરીફ 2025ના કૃષિ રથને લીલી ઝંડી આપીને સમગ્ર જિલ્લામાં કૃષિ રથયાત્રાનો શુભેચ્છા પાઠવી પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી કે. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, અમદાવાદ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વ વિશે ઉદબોધન કરવામાં આવ્યું હતું. શ્રીમતી વર્ષા અલોક, મહિલા ઉદ્યમીએ મશરૂમની વૈજ્ઞાનિક ખેતી બાબતે સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને માહિતીગાર કર્યા હતા. ડૉ. સમાધાન બાગુલ, વરિષ્ઠ વૈજ્ઞાનિકે ઔષધીય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપી હતી.
આ કૃષિ રથ યાત્રા અમદાવાદ જિલ્લાના નવ તાલુકાની 75 પંચાયતોનાં ગામોમાં ફરીને કૃષિ જાગરણ અભિયાન ચલાવશે. આ પ્રસંગે ઇફકો, ધોળકા દ્વારા ડ્રોનથી ખેતી પાકોમાં છંટકાવનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
ધોળકાના આ કાર્યક્રમમાં શ્રી એચ.આઈ. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, અમદાવાદ, કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. બી.એચ. પંચાલ, નાયબ બાગાયત નિયામકશ્રી, શ્રી વાળા, શ્રી વિષ્ણુભાઈ પરમાર, શ્રી કલ્પેશભાઈ સોલંકી, શ્રી રણજીતસિંહ ચાવડા અને અરણેજ, જવારાજ, લોલીયા, વેજલકા અને કોઠ ગામના સરપંચશ્રીઓ અને અરણેજ કેન્દ્રની આજુબાજુનાં ગામોનાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. જયારે કુમારખાણ ગામે નોડલ ઓફિસર ડૉ. એન કે રાઠોડ, ડૉ. કાલે ધોનકર,કેન્દ્રીય કૃષિ અનુસંધાન પરિષદ, વાસદ, બાગાયત વિભાગના શ્રીમતી રિદ્ધિ વસેરા, કેવીકેના પશુ વૈજ્ઞાનિક ડો. નીતિન પટેલ તેમજ આત્માના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.( by PIB Ahmedabad)