વઢવાણ ખારવા રોડ પર સવા કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ખજૂરીવાળા મેલડી માતાના મંદિરનો દસમો પાટોત્સવ ગુરૂવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે ખજૂરી જોવા મળતી નથી, પરંતુ વઢવાણ ખારવા રોડ પર વર્ષોથી ખજૂરીનું વાવેતર કરવામાં આવે છે. રેલ્વે સ્ટેશન પાસે આવેલું ખજૂરીવાળા મેલડી માતાનું મંદિર એક દાયકા પહેલાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 1.25 કરોડના ખર્ચે બનેલા આ મંદિરમાં ભવ્ય પ્રવેશદ્વાર અને સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે, જ્યાં ખજૂરીના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં હોમાત્મક યજ્ઞ, માંડવો અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, બગીચામાં ભગવાન મહાદેવની સુંદર પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી અને મંદિરને આકર્ષક રંગોથી શણગારવામાં આવ્યું હતું.ખારવા અને વાઘેલા ગામના લોકો તેમજ વઢવાણ ખાંડીપોળ અને ખારવાની પોળના મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેણે વાતાવરણને વધુ આહલાદક બનાવ્યું હતું. પાટોત્સવમાં પાંચ હજારથી વધુ ભાવિકોએ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.